સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે અંગ પ્રત્યારોપણની જરૂર હોય તેવા દર્દીઓની નોંધણી માટે રાજ્ય નિવાસની આવશ્યકતા દૂર કરવામાં આવી છે અને હવે તેઓ દેશના કોઈપણ રાજ્યમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે એક પ્રશ્નના લેખિત જવાબમાં ઉપલા ગૃહને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યો સાથે પરામર્શ કરીને અંગદાન અને પ્રત્યારોપણ માટે ‘એક રાષ્ટ્ર, એક નીતિ’ના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહી છે.
રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે આ સંબંધમાં મૃત દાતા પાસેથી અંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેવા દર્દીઓની નોંધણી માટે રાજ્યના નિવાસી હોવાની જરૂરિયાતને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આવા દર્દીઓ દેશના કોઈપણ રાજ્યમાં જઈને અંગ પ્રત્યારોપણ માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. મંત્રીએ કહ્યું કે નવી માર્ગદર્શિકા મુજબ, મૃત દાતા પાસેથી અંગો મેળવવા માટે નોંધણી માટેની પાત્રતા માટે 65 વર્ષની ઉપલી વય મર્યાદા દૂર કરવામાં આવી છે. હવે, કોઈપણ વયની વ્યક્તિ મૃત દાતા પાસેથી અંગો મેળવવા માટે નોંધણી કરાવી શકે છે.
તેમણે કહ્યું કે સરકારે માનવ અવયવો અને પેશીઓના પ્રત્યારોપણ અધિનિયમ, 1994 ઘડ્યો છે અને માનવ અંગો અને પેશીઓના પ્રત્યારોપણ નિયમો, 2014 ને સૂચિત કર્યા છે. ઉપરોક્ત અધિનિયમ અને નિયમો દેશમાં અંગોના દાન અને પ્રત્યારોપણ માટે એક વ્યાપક સમાન નીતિની જોગવાઈ કરે છે. આ અધિનિયમ અને નિયમો તમામ કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડે છે અને આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, કર્ણાટક, મેઘાલય અને ત્રિપુરા રાજ્યો સિવાયના તમામ રાજ્યો દ્વારા કલમ 252(1) હેઠળ અપનાવવામાં આવ્યા છે.
કોરોના બાદ દેશમાં અંગ પ્રત્યારોપણના કેસમાં ભારે વધારો થયો છે. વર્ષ 2022માં પ્રથમ વખત એક વર્ષમાં 15 હજારથી વધુ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આ માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આપી હતી. ભૂષણે આ વાત સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આયોજિત નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO) સાયન્ટિફિક ડાયલોગ 2023માં કહી હતી. ભૂષણે જણાવ્યું હતું કે ટ્રાન્સપ્લાન્ટના કેસોમાં વાર્ષિક 27 ટકાનો વધારો થયો છે.