કોરોના બાદ દેશ લગભગ તમામ ક્ષેત્ર અને તમામ શહેરોમાં વિકાસ કામોએ દોડે જે ઝડપ પકડી છે તેની દુનિયાભરમાં નોંધ લેવાઈ રહી છે. નવા સંખ્યાબંધ એરપોર્ટ જ નહીં ગ્રિનફિલ્ડ પ્રોજેક્ટ પણ સાકાર થવા લાગ્યા ત્યારે સુરત એરપોર્ટ છેલ્લા 13 વર્ષોની નાગરિકોની લડત પછી વિકાસ થવાની વાત તો છોડો દિવસે ને દિવસે એવા અંધારામાં ધકેલાઈ રહ્યું છે જાણે સુરત સાથે એરપોર્ટને કોઈ ગયા જનમનું વેર વસુલવું હોય. હવે જ્યારે એવી વાતો ચાલી રહી છે કે વડાપ્રધાન જુલાઈ મહિનામાં સુરત એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે અધૂરા પ્રોજેક્ટ બાબતે કોણ કોને ઊઠાં ભણાવશે અને આ હદનું પાંગળાપણું શહેરને ક્યાં લઈ ડુબશે તેની ચિંતા શહેરમાં ચર્ચાનો વિષય છે. આવા ઉદઘાટન કરાવવાનો કોઈ અર્થ નથી જ્યાં એપ્રોન, ટર્મિનલ, PTTના કામોના દૂરદૂર સુધી કોઈ ઠેકાણાં નથી. સવાલો અનેક છે અને જવાબ આપનારાઓના મોં ગુનાહિત મૌનથી ઢંકાયેલા છે.
સૌપ્રથમ તો તમને એ પણ અહીં જણાવી દઈએ કે, કાપડ ઉદ્યોગના પંચપક્ષીય વિકાસ માટે પીએમ-મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્ક તામિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સાથે ગુજરાતની પસંદગી થઈ છે. સુરત પાસે જો એક સુવ્યવસ્થિત એરપોર્ટના માળખાંની જ ખોટ હોય તો શું ધૂળ આ પાર્કનો લાભ મળશે. સુરતના વિકાસ સાથે કોઈ રમત રમી રહ્યું છે એ નિશ્ચિત છે, નહીંતર દેશમાં જ્યાં નક્કી થાય ત્યાં એરપોર્ટ સહિતની સવલતો રાતોરાત ગોઠવાઈ શકે તો સુરતમાં બબ્બે આંતરરાષ્ટ્રિય વેપાર હોય અને એરપોર્ટ માટે દાયકા સુધીની લડત પછી પણ કોઈ પરિણામ ન મળી શકે એ વાતમાં કોઈ દમ જ નથી.
બીજી જાણકારી એ આપી દઈએ કે, પ્રણાલીગત્ વ્યવસ્થા મુજબ એરપોર્ટ વિસ્તારની હદ પ્રમાણે નવસારીના સાંસદ સી.આર.પાટીલ એરપોર્ટ એડવાઈઝરી કમિટિનાં ચેરમેન છે અને વાઈસ ચેરમેન એ વિસ્તારના ધારાસભ્ય નિયુક્ત થતાં હોય છે જે પહેલા ઝંખના પટેલ અને હવે સંદિપ દેસાઈની નિયુક્તિ આ પદે થઈ છે. નવું ટર્મિનલ ભવન વિસ્તાર, ટેક્સી બે, એપ્રોન સહિત 350 કરોડથી વધુના વિકાસ કાર્યો ધરાવતો પ્રોજેક્ટ ક્યાં સ્ટેન્ડ કરે છે એ જાણવા અને તેના આગળના આયોજનો વગેરે માટે વર્ષમાં બે બેઠકો થતી હોય છે પરંતુ એરપોર્ટ ઓથોરિટી જ્યાં રીતસર ઊઠાં જ ભણાવી રહી હોય ત્યાં આવી બેઠકો ગંભીરતા વગર ફક્ત ખાનાપુરતી કરવા સબબ બની રહે છે કેમકે, વર્ષો વિતી ગયા બાદ આ હદની લાલિયાવાડી માટે કોની જવાબદારી છે એ પણ શહેરમાં કોઈ નક્કી નથી કરી શક્યું. આ એટલા માટે કહેવાઈ રહ્યું છે કે, ભૂતકાળમાં મિટીંગ દરમિયાન સુરત એરપોર્ટની એરપોર્ટ એડવાઈઝરી કમિટીને સુરત એરપોર્ટના અગાઉના ડાયરેક્ટર દ્વારા એ રીતે છેતરવામાં આવ્યા હતા કે તમામ કામ 31/12/2022ના રોજ પૂર્ણ થઈ જશે! તે પછી તારીખ બદલીને 31/03/2023 કરવામાં આવી અને હવે તેને 31/08/2023 કહેવામાં આવી રહી છે! ક્યાં સુધી આ લંબાવાયા કરશે કોઈ પૂછનાર હોય તો ને
હવે વાત કરીએ સવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ મહિનામાં સુરત એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે એ વિશે તો, શહેરમાં એરપોર્ટ ધમધમતું થાય એ માટે રાતદિવસ એક કરતાં એક અભ્યાસુ વર્ગમાં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સુરત એરપોર્ટના વિકાસ માટે કુલ 365 કરોડમાંથી 80 કરોડની PTT સમાંતર એરસ્ટ્રીપ આના પર ખર્ચ થશે.ત્યાં બાંધકામ છે, તેનું શું થશે! એવું લાગે છે કે સુરત એરપોર્ટના વહીવટીતંત્ર અને સમગ્ર AAIએ ગોળાકાર મોલ બનાવીને છુપાવી દીધું છે! વડાપ્રધાનને જ્યારે ખબર પડશેે કે પીટીટીનું કામ પૂર્ણ થયું નથી તો ઓથોરિટીની શું વલે થઈ શકે છે તેવો કોઈ ડર પણ આ ઓથોરિટીમાં નથી એ અચરજ જન્માવે તેવી બાબત છે. સુરત એરપોર્ટના અધિકારીઓ આ અંગે એવું સજ્જડ મૌન સેવી રહ્યા છે જાણે નક્કી કરીને બેઠાં હોય શહેરને એક પૂર્ણકક્ષાનું એરપોર્ટ ન જ મળવું જોઈએ !
સવાલ તો એવા પણ ઉઠાવાઈ રહ્યા છે કે, જો વડાપ્રધાન કહેતા હોય કે જે પ્રોજેક્ટની ભૂમિનું શ્રીફળ તેઓ નાળિયેર વધેરે છે, તે પ્રોજેક્ટની રિબિન પણ તેઓ જ કાપે છે તો સુરત એરપોર્ટમાં પીએસ મોદીની રિબિનને ડંખ મારવામાં કોને રસ છે! એરપોર્ટ ઓથોરિટી અને વહીવટી તંત્રથી લઈને શાસકોની શું પીટીટી મામલે પણ વડાપ્રધાનને ગેરમાર્ગે દોરવાની યોજના છે! પીટીટીના ઉદ્ઘાટન માટે વડાપ્રધાનને પાછા બોલાવવામાં આવશે?
સૌથી નવાઈની વાત તો એ છે કે, થોડા સમય પહેલા ભારતના ઉડ્ડયન મંત્રાલયના સર્વોચ્ચ અધિકારી મુખ્ય સચિવ રાજીવ બંસલને સુરત આવવાનું થયું. એ પહેલા AAIના અધ્યક્ષ સંજીવ અગ્રવાલ પણ આવવાના હતા! તેઓની એ મુલાકાતના મક્સદ શું હતા તેમણે અહીં દોડવું પડે એ કયા સંજોગો હતા અને તેનો શું નિત્કર્ષ બહાર આવ્યો એ વાતો એરપોર્ટના અધૂરા વિકાસ સાથે હવામાં ઓગળી ગઈ છે પરંતુ હવે તો વડાપ્રધાને પણ આવવાનું છે ત્યારે શું જવાબ અપાશે આ લાલિયાવાડી અંગે !
શું કારણ છે કે સુરત એરપોર્ટનો સમાંતર ટેક્સી ટ્રેક ધીમી ગતિએ દોડી રહ્યો છે અને! વડાપ્રધાનના દાવાને પડકારે છે કે પ્રોજેક્ટ સમય પહેલા પૂરા થાય છે! AAIના ઉચ્ચ અધિકારીઓ શું છુપાવી રહ્યા છે? કેમ છુપાવી રહ્યા છે! કોને બચાવવાનો પ્રયાસ છે આ ! સુરત એરપોર્ટને સુવિધામાંથી કેમ દૂર કરવામાં આવી રહ્યું છે! કોને રસ નથી કે આ શહેર વિકાસના સોપાન સર કરે !