ઘરમાં પીવાના પાણીને ફિલ્ટર કરવા આરઓ હવે સ્ટેટસ સિમ્બોલ નહીં પરંતું અનિવાર્ય જરૂરત તરીકે લોકો જોઈ રહ્યા છે. હોય જ છે. જો તમે પણ કંઈક આવી જ માન્યતામાં જીવતા હોવ તો જરા થોભી જજો… વડોદરાની એસએસજી હોસ્પિટલમાં હાથ ધરાયેલી એક સ્ટડીનું તારણ છે કે, આરઓનું પાણી પીવાથી વિટામિન B12ની ઉણપનું જોખમ લોકોમાં વધી રહ્યું છે. રિવર્સ ઓસમોસિસ એટલે કે આરઓ દ્વારા શુદ્ધ કરવામાં આવેલું પાણી જે લોકો પીવામાં ઉપયોગ કરે છે તેમનામાં B12ની ઉણપ તેમજ અપ્રાકૃતિક ડાર્ક કોમ્પ્લેક્શન જોવા મળે છે એવું તારણ અભ્યાસમાં રજૂ થયું છે.
વડોદરાની એસએસજી હોસ્પિટલમાં હાથ ધરાયેલી સ્ટડી કહે છે કે, આરઓનું પાણી પીવાથી વિટામિન B12ની ઉણપનું જોખમ વધી રહ્યું છે. વિટામિન B12નું મહત્વું તત્વ ગણાતું કોબાલ્ટ આરઓ સિસ્ટમને કારણે નીકળી જાય છે અને તેનાથી આ ઉણપ સર્જાય છે. આ સ્ટડી માટે B12ની ઉણપ ધરાવતા 160 દર્દીઓ અને સામાન્ય લિમિટમાં B12 હોય તેવા 160 દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા.
આ બાબતે ગુજરાત બ્રેકિંગને વિસ્તૃત જાણકારી અને સમજ આપતાં વડોદરા મેડિકલ કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિટી મેડિસિનના એડિશનલ પ્રોફેસર ડો. સંગીતા વી. પટેલે કહ્યું કે, “B12ની ઉણપના લક્ષણો સાથે તેમજ સિરમ B12 લેવલ 200 pg/mlથી ઓછું હોય તેવા જે દર્દીઓ અમારી હોસ્પિટલમાં આવતા હતા તેમનો સમાવેશ અમે આ કેસ કંટ્રોલ સ્ટડીમાં કર્યો. એ સિવાય અમારા ડિપાર્ટમેન્ટમાં આવતાં જે દર્દીઓમાં સીરમ વિટામિન B12 લેવલ 200 pg/mlથી વધારે હોય તેમનો પણ સ્ટડીમાં સમાવેશ કરવામાં આવ્યો. લાલ રક્તકણો, ડીએનએ સિન્થેસિસ અને ચેતાતંતુ સહિતના શરીરના કેટલાય કાર્યો માટે વિટામિન B12 જરૂરી પોષક તત્વ છે”
પોષક તત્વો નીકળી જાય તેવું પાણી પીવાથી સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરના ત્રણ કારણો છે તેમ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે. ઓછા ખનીજ તત્વોવાળા પાણીમાં વિટામિન B12નું પ્રમાણ ઘટી જાય ત્યારે લાંબાગાળાનો જઠરનો સોજો (એટ્રોફિક ગેસ્ટ્રીસાઈટ) આવે છે. ડો. સંગીતાનું કહેવું છે કે “આરઓ સિસ્ટમ સીધી કે આડકતરી રીતે વિટામિન B12નું અંદરથી ઉત્પાદન કરતાં માઈક્રો-ઓર્ગેનિઝમને ખતમ કરી નાખે છે.જેટલા લાંબા સમય સુધી તમે આરઓનું પાણી પીવો તેટલું જ વધુ જોખમ B12ની ઉણપનું રહે છે”
સ્ટડીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માંસ, માછલી, ઈંડા, ડેરી ઉત્પાદનો લીલા મગ જેવા કઠોળ વગેરે વિટામિન B12ના સારા સ્ત્રોત છે. “શાકાહારીઓ તેમજ દૂધ અને દૂધના ઉત્પાદનો ના લેતાં હોય વેગન્સને ( શાકાહારીને) વિટામિન બી12ની ખામી થવાનું જોખમ વધુ રહે છે કારણકે વિટામિન B12ના પ્લાન્ટ આધારિત સ્ત્રોત ખૂબ ઓછા છે. તેની ઉણપથી કેટલીકવાર ચામડી અતિશય કાળી પડી જાય છે અથવા અમુક કિસ્સામાં મેલિનિનનું વધુ પડતું ઉત્પાદન થાય છે જેના કારણે હાઇપર પિગમેન્ટેશન થાય છે.