સુરત સહિત દેશભરમાં આજે રામ નવમીનો તહેવાર ધામધૂમથી અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન રામની નગરી અયોધ્યા એક અલગ જ આકર્ષણ ધરાવે છે. અહીં સ્થિત અસ્થાયી મંદિરમાં છેલ્લી વખત રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આવતા વર્ષથી ભગવાન શ્રી રામનું ભવ્ય રામ મંદિર બનાવવામાં આવશે અને ત્યાં રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવશે.
છેલ્લા રામ નવમીના તહેવારને યાદગાર બનાવવા માટે અસ્થાયી મંદિરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ 25 લાખ ભક્તો રામ નગરી પહોંચી રહ્યા છે.
દેશભરમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. રામનવમી પર ભગવાન રામની જન્મજયંતિ નિમિત્તે આજે સુરતમાં વિવિધ સ્થળોએ શોભાયાત્રાઓ કાઢવામાં આવશે. ભગવાન શ્રીરામની ઝાંખી સાથે હજારો લોકો શોભાયાત્રામાં ભાગ લે છે. સુરત શહેર પોલીસે શોભાયાત્રા દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી છે. તમને જણાવી દઈએ કે, વિશ્વ હિન્દૂ પરિષદના વિભાગ મંત્રી નિલેશ અકબરીના આયોજન પ્રમાણે વિહપ સુરત વિભાગ દ્વારા તમામ જિલ્લા કેન્દ્રો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે, તમામ યાત્રા સુરત સ્ટેશન પર ભેગી થશે ત્યાંથી રાજમાર્ગ થઈને નાવડી ઓવારા જશે.
રામનવમીના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. દેશવાસીઓને રામનવમીની શુભકામના પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે, “રામ નવમીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.” ત્યાગ, તપ, સંયમ અને સંકલ્પ પર આધારિત મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામચંદ્રનું જીવન દરેક યુગમાં માનવતાની પ્રેરણા બની રહેશે.
રામનવમીની શુભેચ્છા પાઠવતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કર્યું, “રામ નવમી પર તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ. બલિદાન અને સેવાનો અમૂલ્ય સંદેશ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના ચરિત્રમાંથી મળે છે. હું ઈચ્છું છું કે તમામ દેશવાસીઓ ભગવાન રામના ઉચ્ચ આદર્શોને આત્મસાત કરે અને ગૌરવશાળી ભારતના નિર્માણ માટે પોતાને સમર્પિત કરે.