યુકેમાં ઇમિગ્રેશન વકીલો ગ્રાહકોને યુકેમાં રહેવાનો અધિકાર મેળવવા સત્તાવાળાઓ સમક્ષ કેવી રીતે જૂઠું બોલવું એ શીખવે છે. તેઓ આવી શીખામણ માટે £10,000 ચાર્જ કરી રહ્યા છે. ડેઈલી મેઈલની તપાસમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે. 1983માં શ્રીલંકાથી બ્રિટન આવેલા વકીલ વી.પી. લિંગજોથીએ એક અન્ડરકવર મેલ રિપોર્ટરને યુકેમાં આશ્રય મેળવવા તે ખાલિસ્તાની સમર્થક હોવાનો ઢોંગ કરવા કહ્યું. તેને એવી રજૂઆત કરવા કહેવામાં આવ્યું કે, ભારતમાં તેની સાથે દુર્વ્યવહાર અને અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.
અન્ડરકવર રિપોર્ટર પોતાનો પરિચય પંજાબના એક ખેડૂત તરીકે આપ્યો અને કહ્યું કે એ તાજેતરમાં યુકેમાં આવ્યો છે. ડેઈલી મેલે લિંગજોથીને ટાંકીને કહ્યું કે, “તમે ઓથોરિટીને એવું કહી શકો છો કે ભારત સરકારે તમારા પર ખાલિસ્તાની સમર્થક હોવાનો આરોપ લગાવ્યો હતો, તમારી અટકાયત કરવામાં આવી હતી, ધરપકડ કરવામાં આવી હતી અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. તેથી જ તમે લગ્ન કરી શક્યા નહોતા અને તમે હતાશ હતા, તમે આત્મહત્યા કરવા માંગતા હતા. આ કઠણ સંજોગોમાં નાછૂટકે તેઓ બ્રિટન ભાગી આવ્યા હતા.”
આ વાર્તા ઘડીને મજબૂત રીતે પેશ કરવા વકીલે તેમની પાસેથી 10,000 પાઉન્ડની માંગણી કરી હતી. મેઇલના અહેવાલ મુજબ, આ મનઘડત વાર્તાને સમર્થન આપવા માટે તેમણે મેડિકલ રિપોર્ટ તૈયાર કરી આપવાનું પણ વચન આપ્યું હતું. મનોવૈજ્ઞાનિક આઘાતના “પુરાવા” તરીકે હોમ ઑફિસને બતાવવામાં આવેલી એન્ટી-ડિપ્રેસન્ટ દવાઓ ઓફર કરી હતી. અન્ય ફર્મમાં, જ્યાં અન્ડરકવર રિપોર્ટર ગયો હતો, વકીલે કહ્યું હતું કે તેણે એવું બતાવવા માટે કે સ્થળાંતર કરીને પરત ફરવામાં તેને સતામણી અને હત્યાનો ડર સતાવી રહ્યો હતો તેના પુરાવા રજૂ કરવા પડશે જે અમે પૂરી પાડીશું”
ત્રીજા વકીલે જણાવ્યું હતું કે તેઓ તેનો ઉપયોગ એ બતાવવા માટે કરશે કે યુકેમાં રહેવા ઈચ્છીત જે તે વ્યક્તિ ભારતમાં સરકાર વિરોધી રાજકીય નિષ્ઠા, ખોટી જાતિની કોઈ વ્યક્તિ સાથે અફેર અથવા ગે હોવા જેવા કારણોસર ભારતમાં તેના જીવન માટે જોખમમાં છે.
અહેવાલમાં જણાવાયું છે કે, એક જ કંપનીઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ લોકો તરફથી શંકાસ્પદ આશ્રય દાવા “દુરુપયોગ” અને “કાર્બન કોપી” અરજીઓના આરોપો વચ્ચે સત્તાવાળાઓ દ્વારા 40 જેટલી કાયદાકીય પેઢીઓ પર નજર રાખવામાં આવી રહી છે. લિંગજોથી જેવા મોટાભાગના વકીલો પાસે કરોડો પાઉન્ડની સંપત્તિ છે. અહેવાલના જવાબમાં, વડા પ્રધાન ઋષિ સુનક અને ચાન્સેલર એલેક્સ ચાકએ જણાવ્યું હતું કે આવી કાયદાકીય સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.