પિતાને પુત્ર પ્રેમથી વંચિત રાખતા માતાને કોર્ટની ફટકાર મળી છે તો પત્નીના ઘરે જઇ બાળકને મળી બર્થ-ડે ઉજવવાનો હુકમ કોર્ટે કર્યો છે.સગીર પુત્ર માટે પિતાએ અનેક મોંઘી મોંઘી ગિફટ્સ એમેઝોન મારફતે મોકલાવતો રહેતો હતો પરંતુ પુત્રને જોવા તરસતો રહ્યો ત્યારે કોર્ટે આ બાબતને પણ ધ્યાને લઇ એક પિતાના દુખ દર્દને સમજી એક પિતાને ન્યાય અપાવતાં ૨૦૧૭ થી વિખુટા પડેલા બાળકની સાથે બર્થ-ડે ઉજવવાનો હુકમ કરતાં પિતાની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા. અરજદાર તરફે્ એડવોકેટ દિવ્યમ જિજ્ઞેશ જોષી અને નિલેશ આહીર દ્રારા દલીલો કરવામાં આવી હતી.
કેસની વિગતો એવી છે કે, અરજદાર પતિ પ્રવિણ શાહ (પક્ષકારોના નામ બદલેલા છે) લંબે હનુમાન, સુરત રહે છે. તેમના લગ્ન અમદાવાદ રહેતા કિંજલ શાહ સાથે ૨૦૦૯માં થયા હતા. બંને પક્ષકારોને લગ્નજીવન થકી સંતાનમાં એક પુત્ર નામે રૂપેશનો જન્મ થયો જેની ઉંમર હાલ ૧૧ વર્ષની છે. લગ્ન બાદ સામાવાળા પત્ની અરજદાર પતિ સાથે સુરત મુકામે લગ્નજીવન આબાદ કરવાઆવ્યા હતા. લગ્ન બાદ અરજદાર પતિએ એક પતિ તરીકેની પોતાની તમામ ફરજો અને જવાબદારીઓ અદા કરતા હતા. અરજદાર પતિ પત્નીને હરવા ફરવા માટે લઇ જતા અને હરહંમેશ ખુશ રાખતા હતા.
અરજદાર પતિ અને સામાવાળા પત્નીને શરૂઆતના લગ્નજીવન દરમ્યાન ખુબ જ સારૂ ચાલતુ હતું અને સુખમય રીતે બંને પક્ષકારોને પુત્રનો જન્મ થયો. ત્યારે પણ બંને વચ્ચે કોઇ તડ-તકરાર હતી નહી. ૨૦૧૭માં પત્ની અચાનક પોતાના પરિવારજનોની ચડામણીમાં આવી જઇને અરજદાર પતિનો ત્યાગ કરીને પુત્રને લઇને પોતાના પિયરે રહેતા આવી ગઈ હતી.
સામાવાળા પત્ની પિયરે ગયા બાદ અરજદાર પતિના સમજાવવા છતાં સામાવાળા પત્ની લગ્નજીવન આબાદ કરવા માટે આવેલા નહી. અરજદાર પતિ તેમના પુત્ર પ્રત્યે ખુબ જ પે્રમ, હુંફ અને લાગણી હોય જેથી અરજદાર પતિએ એક નહી પણ અનેક વખત સામાવાળા પત્નીને સગીર પુત્ર સાથે મળવવા અને વાત કરવા આજીજી કરવા છતાં સામાવાળા પત્નીએ વાત ન કરાવતા અરજદાર પતિએ તેમના વકીલ દિવ્યમ જિજ્ઞેશ જોષી અને નિલેશ આહીર મારફતે અમદાવાદ ફેમિલી કોર્ટમાં વાલી અરજી કરી હતી.
અરજીમાં બાળકનો જન્મ દિવસ તારીખ :- ૧૮/૦૩/૨૦૨૩ ના રોજ આવતો હોવાથી અને પત્ની તેને અમદાવાદ મુકામેથી અન્ય જગ્યાએ લઇ જવાના પ્રયત્નો કરી રહેલ હોવાથી તે બાબતે વચગાળાની અરજી મુકી હતી. એડવોકેટ દિવ્યમ જિજ્ઞેશ જોષી અને નિલેશ આહીર દ્રારા ધારદાર દલીલો કરવામાં આવી અને અરજદાર પતિને ૨૦૧૭થી સામાવાળા પત્નીએ મળવા દીધા નથી, અરજદાર પિતા બાળકની સ્કુલ ફી ભરવા તૈયાર છે, તેના ભણતર ભરણપોષણ કરવા તૈયાર છે, બધું જ કરી છૂટવા તૈયાર છે લાગણી સાથે ત્યારે બાળકને બર્થ-ડેમાં મળવા દેવામાં આવે તો પિતાને એક હુંફ મળે તેમ હોવાનું જણાવ્યું હતું
.આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ અમદાવાદ ફેમિલી કોર્ટના જજ શ્રી બી.ડી. ગોસ્વામીએ અરજદાર પતિની વચગાળાની અરજીઓ મંજુર કરી અને સામાવાળા પત્નીના ઘરે જઇ બાળકનો બર્થ-ડે ઉજવવાનો હુકમ કર્યો અને નામદાર કોર્ટના હકુમતમાથી બાળકને ન લઇ જવાનો હુકમ કર્યો હતો. એક પિતાના દુખ દર્દને સમજી એક પિતાને ન્યાય અપાવતાં અને ૨૦૧૭થી વિખુટા પડેલા બાળકની સાથે બર્થ-ડે ઉજવવાનો હુકમ કરતાં પિતા હર્ષના આંસુથી છલકાઈ ગયા હતા.