સમોસા એ ભારતમાં લોકપ્રિય નાસ્તો છે, પરંતુ જાણો છો કે આ વાનગીનું મૂળ ક્યાં છે ? મોટાભાગના ઈતિહાસકારોનું કહેવું છે કે, સમોસા ઈરાની અથવા મધ્ય પૂર્વના વેપારીઓ ભારતમાં લાવ્યા હતા. આવી જ એક વાનગી ઈરાનમાં જોવા મળી રહી છે. પર્શિયનમાં તેનું નામ ‘સંબુષ્ક’ હતું, જે ભારત આવતાં સમોસા બની ગયું હતું. સમોસાને બિહાર અને પશ્ચિમ બંગાળમાં સિંઘાડા કહેવામાં આવે છે. સમોસાનો સૌપ્રથમ ઉલ્લેખ 11મી સદીના ઈતિહાસકાર અબુલ-ફાલ બેહાકીના લખાણોમાં કરવામાં આવ્યો છે, જેમાં તેમણે ગઝનવીના દરબારમાં માંસ અને માવાથી ભરેલી ખારી વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. જોકે કેટલાક ઈતિહાસકારો કહે છે કે સમોસાની શોધ ભારતના ઉત્તરીય પ્રદેશમાં થઈ હતી.
આજે આપણે જે સમોસાનો સ્વાદ માણીએ છીએ તેવો સ્વાદ સેંકડો વર્ષ પહેલાં નહોતો. સમોસાનો ઉદ્ભવ મધ્ય એશિયામાં થયો હોવાનું માનવામાં આવે છે, જ્યાં તે ‘સમસા’ તરીકે ઓળખાતું હતું. સમોસા સૌપ્રથમ મધ્યકાલિન યુગ દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે વેપારીઓ સિલ્ક રૂટ દ્વારા ભારતીય ઉપખંડમાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે પહેલા સમોસા ત્રિકોણાકાર ન હતા અને ન તો તેમાં બટાકાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે સમોસામાં માંસ અને માવાનો વધુ ઉપયોગ થતો હતો.
ભારતમાં આવ્યા પછી સમોસાને તેનું નવું સ્વરૂપ મળ્યું. અહીં સમોસાને ત્રિકોણમાં બનાવવામાં આવ્યા હતા અને પ્રથમ વખત તેમાં બટાકાનું સ્ટફિંગ કરવામાં આવ્યું હતું. પોર્ટુગીઝ 16મી સદીમાં ભારતમાં બટાકા લાવ્યા અને ત્યારથી સમોસામાં બટેટા ઉમેરવામાં આવ્યા. બટેટાના સમોસા ખૂબ પસંદ આવવા લાગ્યા. આજે સમોસા ભારતીય ભોજનનો એક અભિન્ન ભાગ બની ગયો છે, જેને દેશભરમાં નાસ્તા તરીકે માણવામાં આવે છે.
હવે સ્થિતિ એ છે કે, આજે ભારતમાં સૌથી વધુ ઓનલાઈન ઓર્ડર થતી વાનગીઓમાં સમોસા નંબર વન છે. એક અંદાજ મુજબ, ભારતમાં દરરોજ 70 મિલિયન સમોસા ખાવામાં આવે છે અને માત્ર સમોસાના કારણે જ દરરોજ અબજો રૂપિયાનો બિઝનેસ થાય છે. હવે સમોસાના બિઝનેસ સાથે જોડાયેલા ઘણા સ્ટાર્ટઅપ્સ પણ શરૂ થઈ ગયા છે. આ સાથે ભારતમાં બનતા ફ્રોઝન સમોસા પણ વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.