ગુજરાત હાઈકોર્ટના જજ જસ્ટીસ નિખિલ કરિઅલની પટના હાઈકોર્ટમાં બદલી કરવાના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશન દ્વારા લડત ચાલી રહી છે. તમામ વકીલોએ કામકાજથી અળગાં રહેવા સાથે શુક્રવારે ધરણાં કર્યા હતા. અને તમામ એડવોકેટસ કોર્ટના કામકાજથી અળગા રહ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશને સત્તાવાર જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડે સોમવારની એપોઈન્મેન્ટ આપી છે.
હાઈકોર્ટના સિનિયર એડવોકેટ્સ અને હોદેદારો સોમવારે બપોરે ચીફ જસ્ટીસને મળશે અને તેમને જસ્ટીસ કરિઅલના ટ્રાન્સફરના નિર્ણય પર પુનર્વિચાર માટે રજુઆત કરશે. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટ એસોસિએશનને રાજ્યના અન્ય બાર એસોસિએશન તરફથી પણ લડત માટે સાથ મળી રહ્યો હોવાનો દાવો સિનિયર્સ એડવોક્ટ અને હોદ્દેદાર દ્વારા કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યા અનુસાર, સોમવારે આયોજીત આ બેઠકમાં સિનિયર એડવોકેટ્સ નિરૂપમ નાણાવટી, મિહિર જોશી અને મિહિર ઠાકર જોડાઈ શકે છે. બાર તરફથી સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ અને વાઈસ પ્રેસીડેન્ટ પી.એ.જાડેજા પણ મુલાકાત દરમિયાન હાજર રહેવાના હોવાનું જાણવા મળ્યું છે.