શક્તિપીઠ અંબાજીમાં પરંપરાગત મોહનથાળ પ્રસાદ બંધ કરવાના નિર્ણયના વિરોધમાં સુરતના બે મુખ્ય અંબાજી મંદિરોમાં આજે સાંજે મોહનથાળનો પ્રસાદ ધરવામાં આવશે. વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તમામ પગપાળા સંઘો, મંદિરો, સંતો તેમજ ભક્તોને આહવાન કરવામાં આવ્યું છે. અંબાજી ખાતે પણ મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા VHP દ્વારા મંદિર પરિસરમાં ધરણા કર્યા બાદ સાંજે મહાઆરતી બાદ મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
જગતજનનની માં અંબાના ધામમાં મોહનથાળનો પ્રસાદ પ્રાપ્ત થવો એ કરોડો હિન્દૂ ભક્તોની આસ્થા સાથે સંકળાયેલી મહાન પરંપરા તરીકે જોવામાં આવે છે. પરંતુ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રસાદમાં મોહનથાળના બદલે ચીક્કી આપવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો અંબેમાનાં ભક્તો ભગ્ન હ્રદયે વિરોધ કરી રહ્યા છે. દેશભરમાં એક આંદોલન ઊભું થઈ રહ્યું છે પરંપરા પર ઘા થવાનો પૂરજોશમાં વિરોધ થઈ રહ્યો છે. અંબાજી ખાતે સ્થાનિક ભક્તોએ હિંદુઓ પાસેથી દાન-દક્ષિણા મેળવી દર્શને આવનાર ભક્તોને માતાજીને ચડાવેલો મોહનથાળ આપવાનું શરૂ કર્યું.3 દિવસથી રોજ 200 કિલો મોહનથાળ બનાવીને પ્રસાદ તરીકે વિતરીત થઈ રહ્યો છે.
સુરતમાં પણ અંબે માતાના ભક્તોએ મોહનથાળના પ્રસાદની પરંપરા તોડવાનો વિરોધ શરૂ કર્યો છે. શનિવારે સાંજે સુરતના બે મુખ્ય અંબાજી મંદિરો બાલાજી રોડ તેમજ પાર્લે પોઈન્ટ ખાતે વિહપ સુરત મહાનગર તેમજ બજરંગદળ, દુર્ગાવાહિની તેમજ માતૃશક્તિ સહિતની શાખાના સંયુક્ત પ્રયાસોથી સાંજે પ્રસાદમાં મોહનથાળ વિતરણ કરવાનો કાર્યક્રમ આપવામાં આવશે. આવતીકાલે રવિવારે શહેરના અન્ય કેટલાક માતાજીના મંદિરો પણ આ પ્રમાણે કાર્યક્રમ આપી મા અંબેના પ્રસાદ પરત્વે તેમની આસ્થા વ્યક્ત કરવાના છે.
વિહપ સુરત મહાનગરના પદાધિકારીઓ દ્વારા જગતજનની માં અંબા ધામની મહાન પરંપરાના સમર્થનમાં વિહિપ સાથે મોટી સંખ્યામાં જોડાવવા તમામ પગપાળા સંઘો, મંદિરો, સંતો તથા ભક્તોને આહવાન કરવામાં આવ્યું છે.