ભારતીય રેલવેમાં રોજ લાખો લોકો મુસાફરી કરે છે. તેવામાં લોકોની સગવડનું ધ્યાન રાખવા તંત્ર અનેક નિયમો ઘડતી હોય છે, આવો જ એક નિયમ ટ્રેનમાં સામાન લઈ જવા અંગે પણ છે. રેલ મંત્રાલયે જાણકારી આપી છે કે, નિયમ કરતાં વધુ સામાન સાથે ટ્રેનમાં જતાં મુસાફરોએ દંડ ભોગવવા તૈયાર રહેવું પડશે.
રેલ મંત્રાલયના એક ટ્વિટમાં માહિતી આપવામાં આવી છે કે, મુસાફરોએ વધુ સામાનની સાથે યાત્રા ન કરવી જોઈએ. સીમિત સામાનની સાથે સફર કરો જેથી અન્ય મુસાફરોને કોઈ તકલીફ ન થાય. જો તમે ટ્રેનમાં સફર કરતા સમયે વધુ સામાન લઈને જવાની આદત ધરાવો છો તો એ અંગેના નિયમ તમારે જાણી લેવા જોઈએ, અન્યથા દંડ ભરવાની નોબત આવી શકે છે.
રેલવેના નિયમ પ્રમાણે કોઈપણ ટ્રેનમાં મુસાફર વધુમાં વધુ 40થી 70 કિલોનો સામાન લઈને મુસાફરી કરી શકે છે. જો તેનાથી વધુ સામાન લઈને મુસાફરી કરવામાં આવે તો દંડ ફટકારવાની જોગવાઈ છે. કેટલો સામાન કોણ લઈ જઈ શકે તેનો આધાર ટિકિટ પર હોય છે, જેમ કે, સ્લીપર ટિકિટ પર 40 કિલો સામાન લઈને મુસાફરી કરી શકાય છે. તો એસી ટિકિટ પર 70 કિલો સામાનની સાથે મુસાફરી કરી શકાય છે.
જો પેસેન્જર નિયત કરતાં વધારે ભારે સામાન રાખે છે, તો તેણે 30 રૂપિયાની વધારાની રકમ ચૂકવવી પડશે.રેલવે તંત્રએ સાથે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, ઓક્સિજન સિલિન્ડર, કોઈપણ મેડિકલ પ્રોડક્ટ વગેરે જેવા સાધનો રાખવા ડોક્ટરની સલાહનું પ્રમાણ સાથે હોવું જરૂરી છે.