ભારતમાં H3N2 વાયરસના વધી રહેલા ખતરા વચ્ચે કેન્દ્ર સરકારે એક નિવેદન બહાર પાડ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં દર વર્ષે બે વખત મોસમી ઈન્ફલ્યુએન્ઝાના કેસ નોંધાય છે. તેનો પહેલો રાઉન્ડ જાન્યુઆરીથી માર્ચ અને બીજો ચોમાસાની ઋતુ પછી. મોસમી ઈન્ફલ્યુએન્ઝાથી થતા કેસોમાં માર્ચના અંતથી ઘટાડો થવાની ધારણા છે.
મોસમી ઈન્ફલ્યુએન્ઝા એ ઈન્ફલ્યુએન્ઝા વાયરસને કારણે થતો શ્વસન ચેપ છે. આ એક વૈશ્વિક રોગ છે જે ઘણા દેશોમાં સામે આવ્યો છે. થોડા મહિનામાં તેના દર્દીઓમાં તીવ્ર વધારો જોવા મળે છે.
ઈન્ફલ્યુએન્ઝા વાયરસના ચાર પ્રકાર છે: A, B, C અને D. ઈન્ફલ્યુએન્ઝા A અને B વાયરસ ભારતમાં લગભગ દર વર્ષે જાન્યુઆરીથી માર્ચ અને ચોમાસા પછીની ઋતુઓમાં મનુષ્યોમાં રોગની મોસમી રોગચાળાનું કારણ બને છે.
ભારતમાં આના કારણે અત્યાર સુધીમાં બે દર્દીઓના મોત થયા છે. હરિયાણા અને કર્ણાટકમાં આ મામલા સામે આવ્યા બાદ એલર્ટ છે. મોસમી ઈન્ફલ્યુએન્ઝા નાના બાળકો અને વૃદ્ધોને લક્ષ્ય બનાવે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ રોગની સારવારમાં ઓસેલ્ટામિવીર દવા લેવામાં આવે છે, જેની ભલામણ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા પણ કરવામાં આવી છે. આ દવા ભારતમાં જાહેર આરોગ્ય પ્રણાલી દ્વારા મફત આપવામાં આવે છે.
ઈન્ફલ્યુએન્ઝા વાયરસ સામાન્ય રીતે ઓછા ખતરનાક માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે ચેપથી પીડિત દર્દીઓ લાંબા સમય સુધી ઉધરસ, સતત તાવ અને અન્ય મુશ્કેલીઓની ફરિયાદ કરી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. વિવિધ રાજ્યોએ તેમની આરોગ્ય સુવિધાઓ પર ભાર મૂકવાનું શરૂ કર્યું છે.