લંડન અને અમેરિકામાં ખાલિસ્તાનની માંગ કરતા તત્વો દ્વારા ભારત વિરોધી પ્રદર્શનો થોડા સમય પૂર્વે કરવામાં આવ્યા હતા. લંડનમાં ભારતીય હાઈ કમિશન અને અમેરિકામાં ભારતીય કોન્સ્યુલેટમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. કેન્દ્રની મોદી સરકારે હવે આ ભારત વિરોધી તત્વોને બરાબરના પાઠ ભણાવવાનું મન બનાવી લીધું છે. આ અંતર્ગત નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની 5 સભ્યોની ટીમને તપાસ માટે લંડન મોકલવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટીમ લંડન જઈને તપાસ કરશે કે વિરોધ કરનારા અને ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ કરનારા ખાલિસ્તાની સમર્થકો કોણ હતા અને ભારતમાં તેમના ઠેકાણાઓ ક્યાં છે.
NIA ટીમ ખાલિસ્તાન તરફી તત્વોના ભારત સ્થિત સંપર્કો વિશે પણ શોધી કાઢશે. તે સિવાય ભારતમાં રહેતા તેમના સંબંધીઓની માહિતી પણ એકત્રિત કરવામાં આવશે. તપાસમાં જે પણ જાણવા મળશે તે બ્રિટિશ સરકાર સાથે શેર કરવામાં આવશે. જે બાદ ત્યાંની સરકાર પાસે ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવશે. બ્રિટન અને અમેરિકાએ પહેલેથી જ કહ્યું છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં ભારત વિરોધી ખાલિસ્તાન તરફી તત્વોને સમર્થન આપતા નથી અને કોઈપણ વિદ્રોહીને કાયદા હેઠળ આવવાથી બક્ષવામાં આવશે નહીં.
બીજીતરફ, ઓસ્ટ્રેલિયામાં ઘણા હિન્દુ મંદિરો પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે પણ પીએમ નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં ભારતની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે વાત કરી હતી. આ પછી, અલ્બેનીઝ સરકારે પણ ઓસ્ટ્રેલિયામાં ભારત વિરોધી ગતિવિધિઓ કરનારાઓ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. આ પહેલા પણ ખાલિસ્તાન સમર્થકો ભારતીય દૂતાવાસ અને હાઈ કમિશનને હિંસક રીતે નિશાન બનાવી રહ્યા છે. તે સમયની સરકારો માત્ર સંબંધિત દેશની સરકારો સામે વિરોધ કરતી હતી. આ પહેલીવાર છે જ્યારે ભારત સરકાર NIA મારફતે વિદેશમાં બેઠેલા આ તત્વો સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે.