પોતાના શહેરનું એરપોર્ટ ધમધમતું થાય તેવા કથિત પ્રયાસો કરતાં સંગઠનો માટે પ્રેરણારૂપ એક ઘટનાક્રમમાં હાઈકોર્ટની ડિવિઝન બેંચે બિલાસપુર-ભોપાલ ફ્લાઈટ બંધ કરવા પર કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ને પૂછ્યું છે કે બિલાસપુર-ભોપાલ ફ્લાઈટ બંધ કરવા બદલ એલાયન્સ એર સામે શું કાર્યવાહી કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટની શરતોનું પાલન ન કરવા સામે કાર્યવાહી કરવાની શું જોગવાઈ છે. આ સાથે એલાયન્સ એરને અલગથી નોટિસ આપવામાં આવી છે. આ કેસની આગામી સુનાવણી મેના બીજા સપ્તાહમાં નક્કી કરવામાં આવી છે.
જસ્ટિસ ગૌતમ ભાદુરી અને જસ્ટિસ પી સામ કોશીની ડિવિઝન બેંચમાં બિલાસપુર-ભોપાલ અને બિલાસપુર-ઈન્દોર ફ્લાઈટ બંધ કરવા અંગેની જાહેર હિતની અરજીની સુનાવણી થઈ. AAI દ્વારા રજૂ કરવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું હતું કે બિલાસપુર-ભોપાલ ફ્લાઈટ બંધ કરીને બિલાસપુર-ઈન્દોર ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેને UDAN સ્કીમનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો, તેથી તેમાં VGF સબસિડી આપવામાં આવી ન હતી. એરલાઇન બંધ કરવી એ એલાયન્સ એરનો વ્યાપારી નિર્ણય છે. જો કે, AAIએ સ્વીકાર્યું કે બિલાસપુર-ભોપાલ ફ્લાઇટને રોકવાનું યોગ્ય નથી, અને તેને નોટિસ આપવાની તૈયારી ચાલી રહી છે.
આ એક એવી સફળ લડતનું ઉદાહરણ છે જેના થકી દેશના અનેક શહેરોએ દાખલો લેવો જોઈએ જે પોતાના શહેરને એક ધમધમતું એરપોર્ટ મળે એ માટે કથિત સંઘર્ષ કરી રહ્યું છે. લડતની દિશા કઈ છે અને કયા લેવલના પ્રયત્નો થવા જોઈએ એ કોઈપણ ચળવળ માટે સૌથી અગત્યનું પાસું હોય છે. કેટલાક લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે છવાઈ જવા અથવા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેવા પુરતી કોશિષો કરતાં હોય ત્યારે આવી લડતોની સફળતા અંગે હંમેશા પ્રશ્નાર્થ ઊભા થતાં હોય છે.
સુરત એરપોર્ટ માટે અગાઉ આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હતી, જેમાં તંત્ર તરફથી થયેલી એરપોર્ટ કામગીરી અંગે એફિડેવિટને ધ્યાનમાં લઈ જે તે સમયે સંતોષ વ્યક્ત કરવામાં આવતાં એ પ્રકરણ ફાઇલ થયું હતું. હાલ એક પીઆઈએલ હાઇકોર્ટમાં છે જે જોકે, એરપોર્ટની આસપાસના વિસ્તારોના હાઈરાઈઝ બાબતે છે. એરપોર્ટ પર ફ્લાઈટની અનિયમિતતા કે મનઘ઼ડત રીતે ચાલુ-બંધ થવા બાબતે કોઈ ઓથોરિટી સામે સવાલ સુધ્ધાં ઊઠાવાયો હોવાનું ધ્યાનમાં નથી આવી રહ્યું.