અંબાજી માતાના મંદિરના ગર્ભગૃહમાં ગુપ્ત પૂજા કરતાં ભટ્ટજી પરિવારના પૂજારી ગુજરાત હાઈકોર્ટના શરણમાં પહોંચ્યા છે. હકીકતમાં પૂજારીના ભત્રીજાઓએ તેમના ગુપ્ત પૂજા કરવા સામે વાંધો ઉઠાવતાં તેમને આ પગલું ભરવાની ફરજ પડી છે. હાઈકોર્ટમાં દેવીપ્રસાદ ઠાકરે અરજી દ્વારા માંગ મુકી છે કે, તેમને તેઓ વહીવટી વિભાગને પૂજા કરવા દેવાનો આદેશ આપે.
જસ્ટિસ બિરેન વૈષ્ણવે મંદિરના વહીવટી તંત્ર અને દેવીપ્રસાદ ઠાકરના ભત્રીજાઓને નોટિસ પાઠવી છે અને 12 જાન્યુઆરી સુધીમાં તેમની પાસે આ બાબતે ખુલાસો માગ્યો છે. આ સાથે એવા મૌખિક નિર્દેશ પણ આપવામાં આવ્યા છે કે, પૂજારીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હોવાથી તેમને કોઈપણ પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ. દેવીપ્રસાદ ઠાકરના વકીલે કોર્ટમાં આશંકા વ્યક્ત કરી હતી કે તેમના અસીલને મંદિરમાંથી કાઢી મૂકવામાં આવશે પરંતુ કોર્ટે તેમનું સ્થાન સુરક્ષિત રાખ્યું છે.
દેવીપ્રસાદ ઠાકરે મંદિરના ગર્ભગૃહમાં પોતાનો પૂજા કરવાનો વંશપરંપરાગત અધિકાર જાળવી રાખવા કોર્ટનું શરણું લીધું છે. મંદિરના ગર્ભગૃહમાં ચાર ભટ્ટજી પરિવારને જ પ્રવેશવાનો અધિકાર છે અને તે સિવાયના અન્ય પૂજારી તેમાં પૂજા ના કરી શકતા નથી. દાંતાના પૂર્વ રાજવીએ નિમેલા પાંચ વ્યક્તિઓમાં દેવીપ્રસાદના પિતા કાંતિલાલ ઠાકરનો સમાવેશ થયો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે યોજનામાં ફેરફાર કર્યો અને પૂજા કરવાના ભટ્ટજી પરિવારોના વારસાગત હકને સ્વીકૃતિ આપી. 1986માં કાંતિલાલનું અવસાન થયું. તેમણે પોતાના વસિયતનામામાં પૂજા કરવાનો અધિકાર તેમના બંને દીકરાઓ મહેન્દ્રભાઈ અને દેવીપ્રસાદને આપ્યો હતો.
ઓગસ્ટ 2022 સુધી બંને ભાઈઓએ રોટેશનના આધારે અન્ય પૂજારીઓના દીકરાઓ સાથે મળીને પૂજા કરી હતી. વહીવટ વિભાગે પૂજારીઓની યાદીમાં મહેન્દ્રભાઈનું નામ ઉમેર્યું હતું પરંતુ તેમની સાથે દેવીપ્રસાદ પણ પૂજા કરવા જતા હતા. ઓગસ્ટ મહિનામાં મહેન્દ્રભાઈનું અવસાન થયું. જે બાદ તેમના બે દીકરાઓએ પોતાના વારસાગત અધિકારોનો દાવો કર્યો અને ગર્ભગૃહમાં દેવીપ્રસાદના પ્રવેશ અને પૂજાના હકનો વિરોધ કર્યો હતો.
કેસની સુનાવણી પછી જસ્ટિસ બિરેન વૈષ્ણવે સત્તાધીશોને નોટિસ પાઠવી અને દેવીપ્રસાદ ઠાકરે 20 ઓગસ્ટે કરેલી અરજી પર નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો. દેવીપ્રસાદ ઠાકરે પોતાની અરજીમાં ભાઈના મૃત્યુ પછી પોતાના હકની સ્વીકૃતિ માટે રજૂઆત કરી હતી. એડવોકેટ સિદ્ધાર્થ દવેએ કહ્યું કે, હાઈકોર્ટના મૌખિક આદેશ છતાં પણ મંદિરના વહીવટી વિભાગ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે દેવીપ્રસાદ ઠાકરને પૂજા કરવાની મંજૂરી આપી નહોતી.