ગુજરાતમાં અને ખાસ કરીને સુરત તેમજ વડોદરામાં ઉતરાયણના તહેવાર પૂર્વે ચાઈનીઝ દોરીથી ગળા કપાવાના તેમજ મોત થવાની ઘટનાઓ સામે આવતાં હાઈકોર્ટે આજે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારને ફક્ત જાહેરનામુ બહાર પાડીને સંતોષ ન માની લેવા અને ચાઈનીઝ દોરી તથા નુકસાન પહોંચાડે તેવા પતંગના દોરાના વેચાણ સામે જ કડક હાથે કાર્યવાહી કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે.
ગુજરાત હાઇકોર્ટે જણાવ્યા મુજબ ઘાતક દોરીથી લોકોના મોત કે ઇજા થાય તે ચલાવી નહીં લેવાશે. સરકાર ફક્ત તેના પરના પ્રતિબંધ અંગે જાહેરનામુ બહાર પાડી આ ન્યૂસન્સ અટકાવી શકે તેમ નથી. હકીકતમાં તો પ્રતિબંધનો આકરો અમલ થવો જોઇએ. હાઈકોર્ટે આ અંગે સરકાર પાસેથી બે દિવસમાં જવાબ માગ્યો છે અને વધુ સુનાવણી તા. 6ઠ્ઠીએ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત બે દિવસમાં સુરત તેમજ વડોદરામાં પતંગની દોરી ગળામાં આવી જવાને કારણે બે લોકોના મોત થયા છે. ગુજરાત હાઈકોર્ટે આ અંગે રાજ્ય સરકારને આકરા પગલા લેવા સાફ શબ્દોમાં તાકીદ કરી છે.