ભારતમાં ઉત્પાદિત વધુ એક કફ સિરપની ગુણવત્તા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. મેડિકલ એલર્ટ જારી કરીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ભારતમાં ઉત્પાદિત કફ સિરપને દૂષિત ગણાવ્યું છે. WHOએ કહ્યું છે કે માર્શલ આઇલેન્ડ અને માઇક્રોનેશિયામાં ભારતીય કંપનીનું કફ સિરપ દૂષિત મળી આવી છે.
જો કે, આ મેડિકલ એલર્ટમાં WHOએ એ નથી જણાવ્યું કે ભારતમાં બનેલા કફ સિરપને કારણે કોઈ જાનહાનિ થઈ છે કે કેમ. પરંતુ, WHO માને છે કે Guaifenesin Syrup TG Syrup, Diethylene Glycol અને Ethylene Glycol ટ્રેસ માત્રામાં મળી આવ્યા છે. તેના ઉપયોગથી મનુષ્યના જીવ જોખમમાં મુકાઈ શકે છે. ઓસ્ટ્રેલિયન રેગ્યુલેટર દ્વારા આ રસાયણોની ઓળખ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન રેગ્યુલેટરે આ માહિતી WHOને આપી હતી.
જોકે, WHOના આ એલર્ટ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોઈ જવાબ મળ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે WHOનો ઈમેલ મળ્યા બાદ હરિયાણા અને પંજાબ સરકારોને આ મામલે તાત્કાલિક પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે.
WHOએ માહિતી આપી છે કે પંજાબની QP ફાર્માકેમ લિમિટેડ કંપની આ કફ સિરપ બનાવે છે. કંપનીએ અન્ય દેશોમાં વિતરણ માટે હરિયાણા સ્થિત ટ્રિલિયમ ફાર્મા નામની કંપની સાથે જોડાણ કર્યું છે. આ મામલે આ બંને કંપનીઓ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. WHOએ તમામ સભ્ય દેશોને આ કફ સિરપનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. WHOનું કહેવું છે કે આ બંને કંપનીઓએ WHOને કફ સિરપની સુરક્ષા અને ગુણવત્તા અંગે કોઈ ગેરેંટી આપી નથી.
આ પહેલીવાર નથી કે જ્યારે વર્લ્ડ ફાર્મસી તરીકે ઓળખાતી ભારતમાં નિર્મિત દવાઓની ગુણવત્તા પર સવાલો ઉભા થયા હોય. અગાઉ WHOએ બે વખત એલર્ટ જારી કર્યું છે. ભારતમાં વિવિધ ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવતી સિરપમાંથી ગેમ્બિયા, ઇન્ડોનેશિયા અને ઉઝબેકિસ્તાનમાં 300 થી વધુ બાળકો કિડનીને નુકસાન થવાથી મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે. જોકે, ભારતીય નિયમનકારી સંસ્થાઓની તપાસમાં આ દવાઓની બેચ સંપૂર્ણપણે સલામત હોવાનું જાણવા મળ્યું હતું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે WHOએ જે કફ સિરપની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા છે, તેને ભારતથી માત્ર કંબોડિયા મોકલવાની મંજૂરી આપવામાં આવી હતી. તે માર્શલ ટાપુઓ અને માઇક્રોનેશિયા સુધી કેવી રીતે પહોંચ્યું? આ અંગે કોઈ માહિતી નથી. આ સિરપ ભારતીય બજારમાં પણ ઉપલબ્ધ છે.