કોરોનાકાળથી મેડીકલ અને મેડીસીન ક્ષેત્રમાં થતી લૂંટફાટનું પ્રમાણ ચોંકાવનારી હદે અનેકગણું વધી ગયું છે. લોકોના ડરનો લાભ ઊઠાવી જે અંધાધૂંધી સર્જાઈ રહી છે તેમાં હવે સરકારી તંત્રએ આળસ મરોડી છે. મોકાપરસ્ત તત્વો પરની નિગરાનીના પરિણામ સામે એ આવ્યા છે કે, ગુજરાતની 35 ફાર્મા કંપનીની 42 મેડિસિનના નમૂના નિષ્ફળ નિવડ્યા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટના આ ખુલાસા બાદ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં હંગામો મચી ગયો છે.
એકતરફ સરકાર દવાઓના ભાવ નિયંત્રણની દિશામાં કાર્યરત છે અને તેમાં ધાર્યા પરિણામો મેળવી પણ રહી છે તો બીજીતરફ બેફામ ભાવ લીધા બાદ પણ ગુણવત્તા ન જાળવતાં મેડીસીનના નામે ધીકતો ધંધો કરતા તત્વોને ખુલ્લા પાડવા પણ સતત ઓપરેશન થઈ રહ્યા છે. મળતી વધુ વિગતો અનુસાર, જાન્યુઆરી 2022 થી ફેબ્રુઆરી 2023 વચ્ચેના સમયગાળા દરમિયાન સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા દેશભરમાંથી દવા કંપનીઓના શંકાસ્પદ જણાય તેવી દવાઓના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા.
પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ ઉપરાંત ગુજરાત સહિતના રાજ્યોની સંખ્યાબંધ ફાર્મા કંપનીઓમાંથી લગભગ 600થી વધારે દવાના સેમ્પલ એક વિશેષ અભિયાન અંતર્ગત લેવાયા હતા. આ સેમ્પલનો ટેસ્ટિંગ રિપોર્ટ અત્યંત ચોંકાવનારો કહી શકાય એવો છે. સૌપ્રથમ એ જાણી લો કે, સૌથી વધુ ગુજરાતની 35 કંપનીઓના નમૂના માપદંડમાં ખરા ઉતર્યા નથી. સૌથી વધુ જોખમી વાત એ છે કે, આ દવાઓમાં બાળકોને અપાતી તાવ, ઉલટી, માથાનો દુઃખાવો, વિટામિન, એલર્જી અને સગર્ભાઓને અપાતી દવાઓનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતની 35 જેટલી કંપનીઓની દવાઓ નિયત માપદંડોમાં યોગ્ય નથી ઠરી. અહીં એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ પૈકી કેટલીક કંપની તો એવી છે, જેમની દવાઓ એક નહીં પણ બે કે તેથી વધુ માપદંડમાં અયોગ્ય ઠરી છે. આ કંપનીઓ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. ગુજરાત હાઈકોર્ટમાં એક પીઆઈએલ પણ આ મુદ્દે થઈ હતી.કંપનીઓ સામે હવે એકથી વધુ એક્શનનો સમય આવી ચૂક્યો છે જે લોકોના આરોગ્ય સામે આ હદે રમત રમી જાણે છે.