કંડલા, પોરબંદર અને જામનગર સિવાય AAI સંચાલિત ગુજરાતના સુરત સહિત તમામ એરપોર્ટ માટે એ ખોટનો ધંધો સાબિત થયો છે. ગત 3 વર્ષમાં સુરત એરપોર્ટને 97.27 કરોડની ખોટ પડી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવાય AAI ગુજરાતના 10 એરપોર્ટનું સંચાલન કરે છે. સુરતમાં એર ટ્રાફિક અંગે શરૂઆતથી જ નબળાં ફિડબેક મળી રહ્યા હતા પરંતુ સૌથી આશ્ચર્ચ ફક્ત વડોદરાનું છે જ્યાં કોવિડ-19 પૂર્વે ધમધમતા એરપોર્ટ તરીકે એ ઓળખાતું હતું ત્યાં હવે ત્રણ વર્ષમાં વડોદરા એરપોર્ટે 145 કરોડની ખોટ સહન કરવાના દિવસો આવ્યા છે.
ગુજરાતમાં અમદાવાદ સિવાયના 10 એરપોર્ટનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા કરે છે. છેલ્લા 3 નાણાકીંય વર્ષમાં વડોદરા, સુરત, જામનગર, રાજકોટ, ભાવનગર, ભુજ, દીવ, કંડલા કેશોદ, પોરબંદર એરપોર્ટ ખોટ ખાઈ રહ્યા હોવાના અહેવાલો આંખ ઉઘાડનારા છે. વિગતવાર જોઈએ તો, 3 વર્ષમાં
વડોદરા એરપોર્ટને 145.10 કરોડ, સુરત એરપોર્ટને 97.24 કરોડ, રાજકોટ એરપોર્ટને 68 કરોડ, ભાવનગર એરપોર્ટને 27.14 કરોડ, ભુજ એરપોર્ટને 4.15 કરોડ, દીવ એરપોર્ટને 5.73 કરોડ, જામનગર એરપોર્ટને 5.73 કરોડ, કંડલા એરપોર્ટને 2.52 કરોડ, કેશોદ એરપોર્ટને 4.25 કરોડ તો પોરબંદર એરપોર્ટને 6.59 કરોડની ખોટ સર્જાઇ છે. ફક્ત કંડલા, પોરબંદર અને જામનગર એવા એરપોર્ટ છે જે ખોટની વ્યાખ્યામાંથી બહાર આવે છે.
ખોટ પાછળના કારણો પણ વર્ષોથી વિવાદનું જ કારણ બન્યા છે. એક મત એવો છે કે, ગુજરાતના મોટા ભાગના એરપોર્ટ પર મુસાફર તરફથી ખાસ પ્રતિસાદ મળતો નથી એટલે એ ખોટમાં છે તો બીજીતરફ એવી દલીલ કરનાર પણ એક વર્ગ છે કે, એરપોર્ટ ઓથોરિટી એવી સુવિધા નથી પૂરી પાડતી કે નાગરિકો આકર્ષી શકાય અથવા તો ઉપયોગ કરવા પ્રેરાય. વાત જો સુરત પૂરતી કરીએ તો, ચેમ્બર ઓફ કોમર્સના એક ઉચ્ચપદાધિકારીએ આ બાબતે ગુજરાત બ્રેકિંગ સમક્ષ પોતાનો ધંધાકિય અને ધીરગંભીર મત એ રીતે રજૂ કર્યો કે, કોઈપણ કંપની પોતાના વ્યવસાયના વિસ્તરણ માટે જ ઉત્સુક હોય છે એ ફળેફૂલે એમાં શું કામ તેને રસ ન હોય, અત્યાર સુધીના સરવેમાં સુરતથી ફ્લાઇટ મેળવવામાં ખાસ કરીને ડાયમંડ ક્ષેત્રના માંધાતાઓને ખાસ રસ નથી એમના પોતાના કેલ્ક્યુલેશન છે એટલે આ ફિલ્ડમાંથી એરપોર્ટની લડતને ઝાઝો સપોર્ટ મળ્યો જ નથી. ડાયમંડ બૂર્સની સફળતા પણ ફક્ત એરપોર્ટ પર આધારિત હોવાનું ડાયમંડ અગ્રણીઓ માનવા ઇન્કાર જ કરી રહ્યા છે. ટેક્સટાઇલ ક્ષેત્રને પણ કાર્ગો સિવાયની વાતોમાં રસ નહીં હોવાનો મત વિવિધ ટેક્સટાઇલ સંગઠનોએ મેળવ્યો હોવાથી એરપોર્ટ માટેની લડત એ ફક્ત કેટલાક લોકોની મમત હોવાનું કહેવાય તો તેમાં અતિશયોક્તિ નથી.
એમછતાંય ઉડ્ડયન મંત્રાલય નક્કર આયોજન કરે તો એરપોર્ટને વેગ મળી શકે છે પરંતુ એ લાંબી અને ધીરજ માંગતી પ્રક્રિયા છે. સુરત એરપોર્ટ ટ્રાફિક અથવા તો ઓથોરિટીની ભાષામાં વાત કરીએ તો બિઝનેસ મેળવવામાં ભૂંરાંટી થાય છે તો બીજીતરફ દહેજ પ્રોજેક્ટ માટે એટલી ઉત્સાહી અને આશાસ્પદ છે કે તેના પરિણામો નજીકના ભવિષ્યમાં જ જોવા મળી જશે. ભરૂચ-અંકલેશ્વર સહિતના ઉદ્યોગોનો ધાર્યો લાભ આ એરપોર્ટને મળ્યો તો સુરતના પ્રયાસોને બ્રેક લાગવી નિશ્ચિત માનવામાં આવે તેવું ભવિષ્ય જાણકારો ભાખી રહ્યા હોવાથી રાજકારણીઓની ચિંતામાં વધારો થયો છે. જ્યાં એરપોર્ટ ઓથોરિટીને બિઝનેસ દેખાય છે ત્યાં એ ડેવલપમેન્ટ માટે દોડી જ લે છે એ વાતની પ્રતિતી કરવી હોય તો રાજકોટ તેનું સૌથી મોટું ઉદાહરણ છે, રાજકોટમાં હિરાસર ગામે ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાતના એરપોર્ટની ખોટના અહેવાલો આવ્યા એ સમયે તો રાજકોટના જૂના એરપોર્ટ અને નિર્માણાધિન એરપોર્ટના ડાયરેક્ટરને દિલ્હીનું તેડું આવ્યું હોવાથી બન્ને અધિકારીઓ એ બેઠકોમાં વ્યસ્ત હતા. આ બન્ને એરપોર્ટના ડાયરેક્ટરોની દિલ્હી ખાતે મળેલી બેઠક અત્યંત મહત્વની હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે સુરતે તેમાંથી ઘણું શીખવાનું બાકી રહે છે.
જોકે સુરત અને અન્ય સેન્ટર્સ કરતાં વડોદરા એરપોર્ટની ખોટ AAI માટે ચિંતાનો સૌથી મોટો ફોકસ એરિયા છે. દરેક રાજ્યોની કનેક્ટિવિટી એરપોર્ટ તથા રેલવે દ્વારા બહુ જ સારી હોવાથી અમદાવાદ પછીનું બીજા નંબરનું સૌથી વધુ ધમધમતુ એરપોર્ટ વડોદરા ઓળખાયું હોવાથી જ એરપોર્ટ ઓથોરિટી તેના પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવા આયોજન કરી રહી છે.