જાતિના મતભેદોને કારણે લગ્નમાં ઊઠેલો વાંધો ક્યારેક ભવિષ્યમાં કેટલી હદે નડી શકે છે એવી સામાજિક વ્યથા-ગાથા હાઈકોર્ટ સમક્ષ પહોંચી હતી. હાઈકોર્ટે સૌહાર્દપૂર્ણ ઉકેલ શોધી એક માસુમ બાળકની જીંદગી સુધારવા પ્રયાસ કર્યો પરંતુ વિવાદ પરિવારો ઉકેલી ન શકતા છેવટે કોર્ટે શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખી નિર્ણય સંભળાવતા બાળકને તેની માસીને સોંપવાનું નક્કી કર્યું છે. કોરોનાની બીજી અને સૌથી ઘાતક લહેર દરમિયાન આ બાળકે એક પછી એક માતા અને પિતા બંને ગુમાવી દેતાં એ અનાથ થઈ ગયો હતો. બાળક દાદા-દાદી પાસે રહે કે નાના-નાની પાસે તેની તકરાર કોર્ટ સુધી દોરાઈ હતી.
સમગ્ર ઘટના અંગે મળતી વિગતો અનુસાર, અમદાવાદમાં ગયા વર્ષે કોરોનાની વિનાશક બીજી લહેર દરમિયાન એક પછી એક માતાપિતા બંનેને ગુમાવી 6 વર્ષનો બાળક અનાથ બની ગયો હતો. બાળકના દાદા દાદી છોકરાની કસ્ટડી માટે તેના નાના-નાનીને કોર્ટમાં લઈ ગયા હતા. પોતાના સંતાનની નિશાની સમા બાળક માટે પણ બંને પક્ષના વડીલો સમાધાન ન કરી શક્યા ત્યારે ગુજરાત હાઈકોર્ટે બાળકની કસ્ટડી તેના માસીને સોંપી છે. આ બાબતે કોર્ટની નોંધ હતી કે, જયારે તેના માતા-પિતા બંને કોરોનામાં પટકાયા અને અને મદદની જરુર હતી ત્યારે એ જ સાથ આપવા આવ્યા હતા. તેમના આ કપરા સમયમાં છ વર્ષના બાળકની સંભાળ પણ લીધી હતી. છોકરાના પિતાનું 13મી મેએ અવસાન થયું હતું જયારે તેની માતાનું ગયા વર્ષે જ12મી જૂને અવસાન થયું હતું. તેમના અવસાન પછી દાદા દાદીએ તેના નાના નાની પાસેથી બાળકની કસ્ટડી મેળવવા માટે દાવો કરતી હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી.
હાઇકોર્ટે પ્રથમ તો સૌહાર્દપૂર્ણ ઉકેલ શોધતા બંને પરિવારોને થોડા દિવસો માટે બાળકની કસ્ટડી રાખવાની મંજૂરી આપી. પરિવારો તેમનો વિવાદ ઉકેલી શક્યા ન હતા. ત્યારબાદ હાઇકોર્ટે આ કેસની સુનવણી હાથ ધરતાં સુનાવણી દરમિયાન નાના-નાનીના વકીલે રજૂઆત કરી હતી કે બાળકના પૈતૃક પરિવારે જાતિના મતભેદોને કારણે દંપતીના લગ્ન સામે વાંધો ઉઠાવ્યો હતો. પૈતૃક પક્ષે લગ્નમાં હાજરી આપી ન હતી અને તેમના સંબંધને ક્યારેય સ્વીકાર્યો ન હતો. આ કારણે દંપતીને રહેવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, અને દાદા દાદી અમદાવાદમાં રહેતા હોવા છતાં બાળકની માતાની બહેનના ઘરે રહેવાની તેમને ફરજ પડી હતી. જયારે દંપતી બીમાર પડ્યું ત્યારે પણ તેમણે જ તેમના હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ ઉઠાવ્યો હતો અને તેઓ સારવાર હેઠળ હતા ત્યારે બાળકની સંભાળ લીધી હતી અને તેમના મૃત્યુ પછી પણ તેમણે સંભાળ લીધી હતી.
બાળકની કસ્ટડી માસી પાસે રહેવાનો આદેશ આપતાં જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ મૌના ભટ્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે, ‘જો કે અમને લાગ્યું કે નાની ઉંમરે પરિવારના સભ્યો ગુમાવ્યા પછી બંને પક્ષોને જીવનનું મહત્ત્વ સમજયું હશે, પરંતુ બંને પક્ષો પોતાની જીદ છોડવા તૈયાર ન હતા. આથી, અમે કોર્પસ (બાળક)ના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને આ બાબતનો નિર્ણય કર્યો છે.
ન્યાયાધીશોએ બંને પક્ષોની ભાવનાત્મક અપીલને બાજુ પર મૂકી અને કહ્યું કે જયારે બાળકના ભવિષ્યની વાત આવે છે ત્યારે ‘બંને પક્ષો દ્વારા વ્યક્ત કરાયેલી લાગણીઓ કદાચ માર્ગદર્શક પરિબળ તરીકે કામ કરી શકશે નહીં’. બંનેમાંથી કોઈ એકને બાળકની કસ્ટડી આપવાથી કોઈ ફરક પડશે નહીં, કોર્ટે કહ્યું અને ઉમેર્યું હતું કે બંને પરિવારો આર્થિક રીતે મજબૂત છે, પરંતુ માસી અવિવાહિત છે અને ૪૬ વર્ષના છે. તેમના પર અન્ય કોઈ કૌટુંબિકની જવાબદારી નથી. કોર્ટને લાગે છે કે માસી બાળકની જરૂરિયાતો પૂરી કરવા અને તેના શિક્ષણની પણ કાળજી લેવા માટે યોગ્ય રહેશે. હાઈકોર્ટે દાદા દાદીને મહિનામાં બે વાર બાળકની મુલાકાત લેવાની અને તેની સાથે વીડિયો કોલ પર વાત કરવાની પરવાનગી આપી છે. બાળક વેકેશન અને રજાઓ દરમિયાન તેમના ઘરે આવી શકે છે. જો કે, દાદા-દાદી અમદાવાદમાં એકલા રહે છે, જયારે માસી દાહોદમાં સંયુક્ત કુટુંબમાં રહે છે, જે બાળકના ઉછેર માટે વધુ અનુકૂળ છે તેમ પણ કોર્ટે જણાવ્યું હતું.