બિહાર બાદ મધ્યપ્રદેશ પહોંચેલા બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આ મહિનાના અંતમાં ગુજરાત તેમનો દિવ્ય દરબાર ભરવા પધારી રહ્યા છે. અહીં સુરત, અમદાવાદ અને રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. આયોજકોમાં હવે ચિંતા એ વાતની થઈ રહી છે કે, ગુજરાતના આ ત્રણેય શહેરોમાંથી બાબાના કાર્યક્રમને સામે પડકારો આવી રહ્યા છે. સુરતના હીરાના અગ્રણી વેપારી અને અંધશ્રદ્ધા નિવારણ માટે સક્રીય જનક બાબરીયાએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ઝીલવા બદલ કરોડોના દાનની ઓફર કરતાં ગરમાટો આવી ગયો છે.
સુરતના હીરાના વેપારી અને સામાજિક આગેવાન જનક બાબરીયાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો છે. તેમણે બાબા બાગેશ્વરધામવાલે ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. તેમણે જણાવ્યું છે કે, ‘હું બાબાને ચેલેન્જ કરૂં છું કે તા. 26 અને 27 મેએ જે દિવ્ય દરબાર ભરવાનો છે તેમાં મને સ્ટેજ પર બોલાવીને ચમત્કાર કે પરચા દેખાડે. હું સ્ટેજ પર 500થી 700 કેરેટ પોલિશ્ડ હીરાનું પેકેટ લઈને પહોંચીશ. એ પેકેટમાં કેટલા નંગ હીરા છે એ પરચા દ્વારા બાબા જણાવી આપે તો બાબાની દિવ્ય શકિતનો સ્વીકાર કરી પેકેટ બાબાનાં ચરણોમાં અર્પણ કરી દઈશ.
જનક બાબરીયાએ જણાવ્યું કે, જે દિવ્ય દરબારની અંદર ચમત્કાર, અંધશ્રદ્ધા અને દિવ્ય શક્તિની વાતો કરતા હોય છે તેનો અમે ખુલ્લો વિરોધ કરીએ છીએ. અમારી ટીમ દ્વારા આ કાર્યક્રમનો સખત વિરોધ કરવાના છીએ. અમે સરકારને પણ પત્ર લખવાના છીએ. અમે કલેક્ટરને પણ આ કાર્યક્રમને મંજૂરી ન આપવા આવેદન પત્ર આપવાના છીએ. સોમવારે આવા આયોજન રદ કરાવવા સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપીશું.
તેમણે આ વાતોને વધુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજા આવી અંધશ્રદ્ધા અને દિવ્ય ચમત્કારને ક્યારેય સ્વીકારશે નહીં. ગુજરાતીઓ બજરંગદાસ બાપા અને જલારામ બાપાને આદર્શ સંત તરીકે સ્વીકાર્યા છે. બજરંગદાસ બાપા અને જલારામ બાપાને કયારેય ‘દિવ્ય દરબાર’ ભરવાની જરૂર નથી પડી.
જો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી દરબારમાં ચમત્કારની વાતો કરતા હોય તો પણ હું તેમને પડકાર ફેંકુ છું કે તેઓ અમને આમંત્રણ આપે, હું તેમના દરબારમાં 500થી 700 કેરેટ પોલિશ્ડ ડાયમંડનું પેકેટ લઈને જઈશ અને હીરા અંગે કેટલાક પ્રશ્નો પૂછીશ. જો તેઓ જવાબ આપી શકે તો હું આ ડાયમંડનું પેકેટ તેમના ચરણોમાં અર્પણ કરી દઈશ.તેમણે ત્યાં સુધી પોતાની વાત વિસ્તારતા સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, જો ખરેખર બાબા પાસે આવી દિવ્ય શક્તિ હોય તો બાબાની સુરત કરતા ભારતની બોર્ડર પર વધારે જરૂર છે. પાકિસ્તાન જેવા દેશ ભારત સામે શું ષડયંત્ર કરી રહ્યા છે બાબાએ આપણા સૈન્યને જણાવવું જોઈએ.