વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરવાસીઓ માટે એક ખુશખબર આવી છે. વડનગરમાં એરપોર્ટ બનાવવાની તૈયારીઓ આરંભાઈ ચૂકી છે. વડનગરમાં એરપોર્ટ બનાવવા 3 જગ્યાએ ટીમ સરવે કરવાનું નક્કી થયું છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓની ટીમ આવતીકાલ તા. 6 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીના વતન પહોંચશે. એરપોર્ટ પ્રી-ફિઝીબીલીટી સ્ટડી કરવા માટે આ ટીમ ત્યાં પહોંચવાની છે. સુત્રોના દાવા અનુસાર, મહેસાણા, વડનગર અને વિસનગર મામલતદારને જાણ કરવામાં આવી છે.. સૂચિત જગ્યાના 7/12, ગામનો નકશો અને સર્વેના સાધનો સાથે અધિકારીઓ ટીમ સમક્ષ ઉપસ્થિત રહે એ માટે સુચના આપવામાં આવી છે.
વડનગર, ગુંજા અને ચાંદપુરમાં એરપોર્ટ માટે ત્રણ ગામોના 159 સર્વે નંબરોની જમીનનો સમાવેશ થાય છે. નાગરિક ઉડ્ડયન કચેરી સાથે છેલ્લા ઘણાં સમયથી મહેસાણા જિલ્લા અધિકારીઓ સંપર્કમાં હતા. મોટા શહેરોને છોડી આસપાસના ટાઉન વિસ્તારોમાં એરપોર્ટ ડેવલપ કરવાની એરપોર્ટ ઓથોરિટીનું આયોજન આગળ વધી રહ્યું છે. હજીરા અંકલેશ્વર સહિતના એરપોર્ટ પ્રોજેક્ટ માટેનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. રાજકોટ બાદ વડનગરનું આ એરપોર્ટ પણ અદ્યતન બનાવવા એરપોર્ટ ઓથોરિટી લાંબા સમયથી આયોજન કરી રહ્યું છે.