કોણ એ વાતથી અજાણ હોઈ શકે કે, ભરૂચના સ્વ.અહેમદ પટેલ એટલે ગાંધી પરિવારના ત્રણ પેઢીથી સંકટમોચન એવા કોંગ્રેસી નેતા હતા. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય સળવળાટ ઝડપી બની રહ્યો છે ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સક્રિય રાજકારણમાં ઝંપલાવે તેવા સંકેત છે જોકે, ફૈઝલ પટેલ કોંગ્રેસની કટોકટી ઘટાડવાને બદલે વધારે તેવા એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે.તેઓ કોંગ્રેસથી પોતાની નારાજગી વ્યક્ત કરવા સાથે આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે સંપર્કો વધારતા જોવા મળે છે.
ફૈઝલ પટેલના એક ટવીટ બાદ આ વાતોને જબરદસ્ત હવા મળી છે. ટ્વીટમાં ફૈઝલે જણાવ્યું છે કે, હું લાંબા સમયથી કોંગ્રેસમાં સક્રિય થવાનું વિચારતો હતો પરંતુ પક્ષના મોવડી મંડળ તરફથી મને કોઇપણ પ્રોત્સાહન જ મળ્યું નથી અને હું રાહ જોઇને થાકયો છું અને તેથી જ હવે મારા વિકલ્પો ખુલ્લા રાખુ છું.
બીજીતરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો પ્રવેશ મજબૂત કરવા સખત પ્રયત્નશીલ છે. ભરુચ સહિતના વિસ્તારમાં અને આદિવાસી ક્ષેત્રમાં ભારત ટ્રાયબલ પાર્ટીને આમ આદમી પાર્ટી સાથે લેવા અરવિંદ કેજરીવાલ સક્રિય છે. હવે ફૈઝલ પટેલ કે જેઓ અત્યાર સુધી રાજકારણથી દૂર રહ્યા છે તેઓ પણ આપ સાથે આવે તો આશ્ચર્યની વાત નથી. અરવિંદ કેજરીવાલ આ માટે નજર ટાંપીને જ બેઠા છે.
ઉલ્લેખનીય છે કે, ફૈઝલ પટેલે ગત વર્ષે જ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.હવે કોંગ્રેસ મોવડી મંડળ માટે ફૈઝલ પટેલે જે આક્રોશ દર્શાવ્યો તે સૂચક છે અને તેની સાથે તેના બહેન મુમતાઝ પટેલ પણ જોડાઇ તેવી શક્યતા નકારાતી નથી. જો કે થોડા સમય પહેલા ગુજરાતની એક ફાર્મા કંપની સાથે મુમતાઝ પટેલના પતિ ઇરફાન સીદીકીના કનેકશન મુદે ડીઆરઆઈએ ઇરફાનના નિવાસે દરોડા પાડ્યા હતા પરંતુ ત્યારબાદ તેમાં કોઇ વધારે કાર્યવાહી થઇ ન હતી.