આ દિવસોમાં દેવભૂમિમાં ચારધામ યાત્રા પર લાખો શ્રદ્ધાળુઓ આવ્યા છે. આ દરમિયાન ઉત્તરાખંડમાંથી એક દુઃખદ સમાચાર મળ્યા છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામ જઈ રહેલા બે યાત્રીઓનું હાર્ટ એટેકથી મોત થયું હતું. બંને ધામમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 21 પર પહોંચી ગયો છે. જેમાંથી 19 લોકોએ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં યમુનોત્રીમાં 12 અને ગંગોત્રી ધામમાં 7 મુસાફરો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા છે. જ્યારે યમુનોત્રી ધામમાં ઈજાના કારણે બે મુસાફરોના મોત થયા હતા.
મળતી માહિતી મુજબ, ગુજરાતના સુરત જિલ્લાના માંડવી તાલુકાના હરિયાલ ગામના રહેવાસી અમૃતભાઈ (65) ગંગોત્રી જતા રસ્તામાં બીમાર પડ્યા હતા. સાથેના યાત્રિકો તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી હર્ષિલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા.
એ ઉપરાંત એક અન્ય બનાવમાં મોડી રાત્રે જાનકીચટ્ટી ખાતે યમુનોત્રી ધામની યાત્રાએ જઈ રહેલા ગુના, મધ્યપ્રદેશના રહેવાસી રાજેશ કુમાર (52) ની તબિયત લથડી હતી. લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. તેમનું મૃત્યુ પણ હાર્ટ એટેકથી જણાવવામાં આવી રહ્યું છે.