વિશ્વમાં 3 નવેમ્બર ઓળખાય છે વિશ્વ સેન્ડવિચ દિવસ તરીકે. લોકો આજના દિવસે સેન્ડવીચની વિવિધ વેરાઈટીઝનો આનંદ માણે છે. સેન્ડવીચ ક્લાસિકથી લઈને ઈનોવેટિવ્ઝ વેરાઈટીઝ સુરતીઓને પસંદ છે. જોકે, સુરત આપણે સૌ જાણીએ જ છે કે તેના ફૂડ લવને કારણે સદીઓથી પ્રખ્યાત છે. અહીં લોચો, પેટીસ, ઘારી, પોંક, ઊંધીયું જેવી અમાપ વેરાઈટીઝ પહેલેથી લોકોના દિલ પર રાજ કરતી આવી છે ત્યારે સુરતીઓના દિલ પર સ્થાન જમાવવું એ સેન્ડવીચ માટે કોઈ નાનો સંઘર્ષ ન હતો પરંતુ આજે સુરતીઓ અનેક વેરાઈટીઝ સાથે સૌથી વધુ ગ્રીલ સેન્ડવીચના એવા દિવાના છે કે જાણે એ સુરતીઓનું પોતાનું જ ફૂડ છે.
સુરતમાં જેને આપણે આધુનિક સેન્ડવીચ તરીકે ઓળખીએ છીએ તેની એન્ટ્રી 1995માં થઈ હોવાનું માનવામાં આવે છે. જોકે, સેન્ડવીચનો જન્મ ઈંગ્લેન્ડમાં 1762માં થયો હતો, એ સમયે તેનું સ્વરૂપ અલગ હતું. ભારતમાં તેને લોકો શરૂઆતમાં ડબલ રોટી તરીકે ઓળખતા હતા. હવે એ સેન્ડવીચ છે. સુરતના ફૂડ લવથી દુનિયામાં કોઈ અજાણ નથી. સુરતીઓનો ટેસ્ટ મિજાજ સૌથી અલગ હોવા છતાંય સુરતીઓની એક વાત તેને બીજા કરતાં અલગ એ રીતે પાડે છે કે તેને નવું નવું સ્વીકારવાનો શોખ છે. આ વાતાવરણમાં સેન્ડવીચના સુરતમાં સંઘર્ષની ગાથા પણ ખુબ અનોખી છે. શરૂઆતમાં સેન્ડવીચ પાસે આટલી વેરાઈટીઝ પણ ન હતી. બે બ્રેડ વચ્ચે ટોપિંગ મૂકીને તૈયાર થતી સેન્ડવીચ પણ લોકો પસંદ કરતા હતા ત્યારબાદ તેમાં બટાકાં, કાંદા, ટામેટા ઉમેરાયા. સમય સાથે ફેરફાર થતાં રહ્યા એ ઝડપી હતા. જેમાં ચીઝ ઉમેરાઈ હવે એ આધુનિક બનવા લાગી હતી જે યુથને આકર્ષવા લાગી હતી. અત્યારની વાત કરીએ તો સુરતીઓના દિલ પર રાજ કરતી ગ્રીલ સેન્ડવીચ ઉપરાંત ચીઝ સેન્ડવીચ, ચીલી ચીઝ, બટર ચીઝ, પિઝા ચીઝ, ચોકલેટ સેન્ડવીચ, પનીર ટીક્કા એવા એટલા ફ્લેવર્સ ઉમેરાઈ રહ્યા છે કે ના પૂછો વાત.
1995માં મુંબઈ ગ્રીલ સુરતમાં એન્ટર થયું. સેન્ડવીચ ડે માટે બે દિવસથી તૈયારીમાં વ્યસ્તતા વચ્ચે ત્યારની વાત કરતાં તેના ઓનર સુનિલભાઈ કહે છે, 1995માં અને બ્રેડ અને અન્ય મસાલો લેવા માટે મુંબઈ જતાં હતા. એ સમયે મુંબઈ ગ્રીલ ઉપરાંત અડાજણ સ્થિત મહાલક્ષ્મી જેવા આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકો સેન્ડવીચને સુરતમાં સ્થાન અપાવવા સંઘર્ષ કરી રહ્યા હતા. સુનિલભાઈએ લગભગ 2002 સુધી આ રીતે મહેનત કરી ત્યારે તેમણે પોતાનું સેન્ડવીચ આઉટલેટ સ્ટાર્ટ કર્યું ત્યાં સુધીમાં સુરતીઓને સેન્ડવીચનો ચસકો લાગી ચૂક્યો હતો. પાર્લે પોઈન્ટ પર સેન્ડવીચનો આનંદ ઉઠાવવા લોકો દુરદુરથી આવવા લાગ્યા અને એ રીતે સુરતમાં સેન્ડવીચ ખરેખર દિલમાં સ્થાન મેળવી ગઈ. આજે મહાલક્ષ્મી ઉપરાંત ગણગૌર અને સેન્ટ્રલ પોઈન્ટ જેવી ઘણી સેન્ડવીચ તેમની પોતાની વેરાઈટીઝથી સુરતીઓને આકર્ષી રહી છે.
સુરતી ટેસ્ટ અંગે ગણગૌરના પ્રદીપભાઈ કહે છે, સુરતીઓના ટેસ્ટનો અમારે સેન્ડવીચમાં પુરેપુરો ખ્યાલ રાખવો પડે છે. સુરતીઓ સ્પાઈસી સાથે ક્યારેક તેમાં હળવી મીઠાસ તો ક્યારેક થોડી ખટ્ટીમીઠી પસંદગી પર ઉતરે છે એટલે એ યુનિકનેસનું અમે ધ્યાન રાખીને સેન્ડવીચ બનાવીએ છીએ અને બહારથી આવતા લોકોને પણ તેમના સિટી કરતાં એક અલગ સુરતી ટેસ્ટ ગમી જાય છે કેમકે એ નવું છે.