70 વર્ષની એક મહિલાએ ભીખ માંગીને એક લાખ રૂપિયા ભેગા કર્યા. મહિલાએ આ તમામ પૈસા કંધમાલ જિલ્લાના ફુલબની ખાતે જૂના જગન્નાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે દાનમાં આપ્યા હતા. મહિલા તુલા બેહેરા છેલ્લા 40 વર્ષથી ફુલબની શહેરમાં વિવિધ મંદિરો પાસે ભીખ માંગે છે. તુલાના લગ્ન શારીરિક રીતે અક્ષમ વ્યક્તિ પ્રફુલ્લ બેહેરા સાથે થયા હતા. દંપતી નગરમાં ભીખ માંગતું હતું. બાદમાં પ્રફુલ્લ બેહેરાની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ તુલા એકલી રહી ગઈ હતી.આ મહિલાને નિયમિતપણે ભીખ આપતાં કેટલાક લોકો આજે તેને દાન આપવાનો દિલથી સંતોષ વ્યક્ત કરીને ખુશ છે, તેમને લાગે છે કે તેમનું દાન યોગ્ય હાથોમાં પહોંચ્યું છે.
ત્યારબાદ મહિલા ભિખારીએ પોતાને ભગવાન જગન્નાથના ચરણોમાં સમર્પિત કરી દીધી છે. ધન સંક્રાંતિના અવસર પર તુલા બેહેરાએ શુક્રવારે પોતાની એક લાખ રૂપિયાની કમાણી જગન્નાથ મંદિરની પ્રબંધન સમિતિને દાનમાં આપી દીધી. તુલાએ કહ્યું, મારે ન તો માતા-પિતા છે કે ન તો કોઈ સંતાન. મેં ભીખ માંગીને જે પૈસા બચાવ્યા અને મારા બેંક ખાતામાં જમા કર્યા, તે ભગવાન જગન્નાથને દાનમાં આપ્યા.
મહિલા ભિખારીએ કહ્યું કે તેને કોઈ પૈસાની જરૂર નથી કારણ કે તે વૃદ્ધ થઈ ગઈ છે અને તેણે ભગવાન જગન્નાથના ચરણોમાં પોતાને સમર્પણ કરી દીધું છે. તેમણે મંદિર પ્રબંધન સમિતિને ફુલબનીના જૂના જગન્નાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે નાણાંનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.
સમિતિના એક સભ્યએ જણાવ્યું કે, જ્યારે તેણે અમારો સંપર્ક કર્યો, ત્યારે અમે તેની પાસેથી પૈસા સ્વીકારવામાં આનાકાની કરી હતી, પરંતુ જ્યારે તેણે આગ્રહ કર્યો ત્યારે અમે તેને સ્વીકારવાનું નક્કી કર્યું.