એક વર્ષથી અલગ રહીને છુટાછેડાની અરજી કરનારા પતિ-પત્નિએ સરનામું એક જ દર્શાવ્યું હોવાના મુદ્દત ફેમિલી કોર્ટે છુટાછેડા આપવાની અરજી રદ કરી હતી. આ ચુકાદાને ફગાવીને હાઈકોર્ટે છુટાછેડા મંજુર કર્યા છે. આ કેસમાં વડોદરાના છૂટા પડવા માંગતા એક યુગલે હાઈકોર્ટમાં ફેમીલી કોર્ટનાં આદેશની સામે ફર્સ્ટ અપીલ કરી હતી.
કેસની હકીકત એવી છે કે દંપતીના લગ્ન વર્ષ 2020 માં વડોદરા ખાતે હિન્દુ રીત રિવાજ મુજબ અને સમાજના નિયમો મુજબ થયા હતા. વડોદરા ખાતે આ લગ્નની નોંધણી પણ થઈ હતી. લગ્ન બાદ શરૂઆતમા આ બન્ને જણ વડોદરા ખાતે જ રહેતા હતા અને ત્યારબાદ તેઓ પૂણે શિફટ થઈ ગયા હતા. થોડા સમય બાદ તે બન્નેને એવું લાગ્યું હતું કે તેમનું લગ્નજીવન આગળ વધી શકશે નહિં.તેથી તેમણે સહમતિથી અલગ થઈ જવાનો નિર્ણય કર્યો હતો અને જાન્યુઆરી 2021 થી તેઓ અલગ રહેવા લાગ્યા હતા.
આ સમય ગાળાને એક વર્ષ થઈ ગયા બાદ તેમણે હિન્દુ મેરેજ એકટની ધારા 13 (બી) હેઠળ છુટાછેડા લેવા માટે વડોદરાની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં દંપતી કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા હતા અને બન્ને એક વર્ષથી જુદા રહેતા હોવાનું જણાવી છુટાછેડા આપવા માટેની વિનંતી કરી હતી.જોકે છુટાછેડાની અરજી ફેમિલી કોર્ટે માત્ર એ કારણે રદ કરી હતી કે તેમની પિટિશનમાં બન્નેનું પુણેનું સરનામું એક જ હતું.કોર્ટે એ માનવાનો ઈન્કાર કર્યો હતો કે તેઓ એક વર્ષથી જુદા રહે છે.
ફેમિલી કોર્ટના આ આદેશને તેમણે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે પતિ અને પત્નિ સાથે તબકકાવાર વાતચીત કરી હતી અને જેમાં સામે આવ્યુ હતું કે તેઓ હવે ફરીથી સાથે રહે તેવી કોઈ શકયતા નથી. છેલ્લા એક વર્ષથી તેઓ અલગ જ છે. બન્નેએ હાઈકોર્ટ સમક્ષ આ બાબત સોગંદનામા ઉપર રજુ કરી હતી, જેને રેકર્ડ પર લઈ હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો આદેશ રદ કરી છુટાછેડાને મંજૂરી આપી.