ડાયમંડ હબ સુરતમાં વિદેશી બાયર્સ આકર્ષાય એ હેતુથી સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા તા.૧૫ થી ૧૭ જુલાઈ દરમિયાન આયોજિત ત્રિદિવસીય લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ને કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ડાયમંડનો વ્યાપાર એ ભરોસાથી ચાલતો વ્યવસાય છે, ત્યારે સુરતના તમામ ભરોસેમંદ વ્યાપારીઓએ તેનું સાર્થક ઉદાહરણ પુરૂ પાડ્યું છે. મંત્રીશ્રીએ દુનિયાભરમાં યોજાતી વિવિધ ક્ષેત્રોની તમામ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ માફક સુરત શહેર ડાયમંડ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય ઇવેન્ટની યજમાની કરવા ઉપરાંત સુરતમાં ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલું હીરાનું અદ્યતન રિસર્ચ સેન્ટર બનાવવા સૂચન કર્યું હતું.
ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ ડાયમંડ બુર્સની સુરક્ષા હેતુ ટૂંક સમયમાં ખજોદ ખાતે બિલ્ડિંગ નજીક ગુજરાતનું સૌથી હાઈટેક પોલીસ સ્ટેશન બનાવાશે. વધુમાં તેમણે કહ્યું કે, સુરતના ડાયમંડ વેપારીઓની અન્ય રાજ્યના વ્યાપારીઓ કે અસામાજિક તત્વો દ્વારા થતી છેતરપિંડીના કેસો અથવા નાણાકીય લેણદેણના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ગુજરાત પોલીસ દ્વારા એક ખાસ ટીમ બનાવવામાં આવશે. આ સંદર્ભે તેમણે સુરત ડાયમંડ એસોસિએશન સાથે સંકલન કરી આ પ્રકારની અરજીઓ પહોંચતી કરવાનું સૂચન કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, સુરત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં ગુજરાત રાજ્ય દેશમાં મોખરે રહ્યું છે. સુરતમાં લૂઝ અને નેચરલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડની જ્વેલરી બને તેમજ સ્વદેશી પ્રોડક્ટનું માર્કેટ આપણી પાસે રહે તેવા હેતુથી સુરતમાં આ ડાયમંડ અને જ્વેલરી એક્ષ્પો યોજાયો છે.
કેરેટ્સ એક્ષ્પોએ હીરા ઉદ્યોગના વેપારીઓ માટે નવું માર્કેટ ઉભું કર્યું છે. ત્રિદિવસીય લૂઝ ડાયમંડ એક્ષ્પોમાં કુલ ૧૧૬ જેટલા સ્ટોલ ઉભા કરાયા છે, જેમાં નેચરલ માઈનીંગ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ જ્વેલરી, લેસર ટેક્નોલોજી મશીન, સરીન મશીન તેમજ ડાયમંડ લેબના સ્ટોલનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયા, પ્રવિણભાઈ ઘોઘારી, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ નાનુભાઈ વેકરીયા, ઉપપ્રમુખ જગદીશભાઈ ખૂંટ, ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકીયા, વસંતભાઈ ગજેરા, મુકેશભાઈ પટેલ, સી.પી.વાનાણી, CCITના કમિશનર કવિતા ભટ્ટનાગર, સુરત ડાયમંડ એસો.ના કન્વીનર ગૌરવ સેઠી સહિત હીરા ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં એક્ઝિબિટર્સ ઉપસ્થિત રહ્યા હતા.