સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘાને દરિયાઈ માર્ગથી જોડતી રો-રો ફેરી સર્વિસે સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે મુસાફરો અને માલસામાનની અવરજવર ખૂબ સરળ અને સુગમ બનાવી છે. સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જિલ્લાઓ આર્થિક રીતે મજબૂતાઈ મળી છે, અને વ્યવસાય-રોજગારીની નવી તકો ઉભી થઈ છે. મુખ્યત્વે તો રો-રોને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનતા પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળ્યો છે. મુસાફરો સહિત સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોંચી રહ્યો છે. જેથી સૌરાષ્ટ્રને રો-રો થકી એક મોટું બજાર મળ્યું છે. આમ, રો-રો સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થઈ છે.
આ ફેરી સેવાથી સૌરાષ્ટ્ર અને સુરતનું અંતર ઘટ્યું છે તો સમય, ઇંધણ અને નાણાની બચત કરનારી આ સેવાએ બે પ્રદેશોને વિકાસના માર્ગે જોડ્યા છે. દિવાળીના તહેવારોમાં સુરતમાં વસતા લાખો સૌરાષ્ટ્રવાસીઓ વતનમાં જાય છે, તેમના માટે રોરો સેવા આશીર્વાદરૂપ બની છે. દરિયાઈ સફરનો આનંદ અને રોમાંચ પણ આ ફેરીનું જમા પાસું છે.
તા.૧૦મી નવેમ્બરે વિશ્વ માસ ટ્રાન્સપોર્ટ દિવસ પણ ઉજવાય છે, ત્યારે વોટર માસ રેપિડ ટ્રાન્સપોર્ટ રૂપે જળમાર્ગની પણ ખૂબ ઉપયોગિતા છે. કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેયઝ મંત્રાલય દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટી હેઠળ સાકાર થયેલી ફેરી સેવા અંતર્ગત હજીરા ખાતે સપ્ટેમ્બર-૨૦૨૨માં નવું સ્ટેટ ઓફ ધ આર્ટ ‘ડીપ ડ્રાફ્ટ ટર્મિનલ’ પણ તૈયાર કરાયું છે.
વડાપ્રધાન મોદીએ વર્ચ્યુલી તા.૮ નવેમ્બર,૨૦૨૦ ના રોજ સુરતના હજીરા પોર્ટથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-રો અને રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવ્યો હતો. જેનો તા.૯મી નવેમ્બરના રોજ ત્રણ વર્ષ પુર્ણ થયા છે. આ સફળતાપૂર્વક ચાલતી રો-રો સેવા દરરોજ બે રાઉન્ડ ટ્રીપ કરે છે અને દરરોજ અંદાજે ૨૦૦૦ મુસાફરો, ૨૮૦ પેસેન્જર વાહનો, ૨૦૦ ટુ-વ્હીલર અને ૧૮૦ ટ્રકની હેરફેર કરે છે. છેલ્લા ૩ વર્ષમાં, નવેમ્બર-૨૦૨૦ થી શરૂ કરીને હજીરા-ઘોઘા રોરો ફેરી સર્વિસ દ્વારા કુલ ૬,૪૯,૧૬૫ મુસાફરો, ૯૩,૯૮૫ કાર, ૫૦,૨૨૯ દ્વિચક્રી વાહનો અને ૭૨,૮૩૩ ભારે માલવાહક વાહનોની હેરફેર કરવામાં આવી છે.
ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ ૩૯૦ કિમી છે જે દરિયાઈ માર્ગે ઘટીને માત્ર ૯૦ કિમી થઈ ગયું છે, પરિણામે ઈંધણની મોટી બચત થઈ છે. અત્યાર સુધીમાં રો-રો પેક્સ ફેરી સર્વિસ દ્વારા ૧,૬૫,૫૩,૧૮૮ લિટર ઇંધણની બચત થઈ છે. પરિણામે ૩૨,૪૦૮ મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયાનો અંદાજ છે. આ સેવા ઇંધણ બચત, રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને પ્રદૂષણને ઓછું કરી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા સાથે પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ સાર્થક કરી રહી છે.
ફેરી સર્વિસનું સંચાલન ‘DG સી કનેક્ટ’ બ્રાન્ડ નેમ હેઠળ ડેટોક્ષ ગ્રુપની કંપની ઈન્ડિગો સીવેયઝ પ્રા.લિ. કરે છે. ઈન્ડિગો સી-વેયઝના સી.ઈ.ઓ. દેવેન્દ્ર મનરાલે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૦ માં વડાપ્રધાને ભારતની સૌપ્રથમ સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા સુધીની રો-પેક્ષ ફેરી સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે. તેઓ વર્ષ દરમિયાન મૂળ વ્યવસાય ખેતી અને માદરે વતન સાથે સતત કનેક્ટેડ રહે છે. સારા-નરસા પ્રસંગોએ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૦ થી ૧૨ કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે, જે આ રો-રો સેવાને કારણે ઘટીને માત્ર ૪ કલાકની થઈ ગઈ છે, વળી, સૌરાષ્ટ્ર અને સુરતના મુસાફરો પોતાની સાથે બાઈક કે કાર પણ ગામડે લઈ જઈ શકે છે, એ આ સેવાનો પ્લસ પોઈન્ટ બની રહ્યો છે.
હજીરા-ઘોઘા રો-રો ફેરી સાઉથ ઈસ્ટ એશિયાની સૌથી મોટી ફેરી સેવા છે. ખંભાતના અખાતના હાઈટાઈડ રેન્જ અને ઉચ્ચ દબાણયુક્ત દરિયાઈ પાણીમાં ૬૦ નોટિકલ માઈલ કવર કરે છે. વિશેષ વાત એ છે કે હજીરા ઘોઘા રોરો સેવા સાઉથ ઈસ્ટ એશિયાની સૌપ્રથમ સૌર ઊર્જા-સોલાર પાવરથી સંચાલિત સર્વિસ છે. ફેરીના જહાજ પર સોલાર પેનલો લગાવી છે, જેના કારણે ૧૧૦ કિલોવોટ વીજળી ઉત્પન્ન થાય છે. જહાજમાં ઉપયોગમાં લેવાતી વીજળીની જરૂરિયાતના અંદાજિત ૫૦ ટકા વીજળી સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થાય છે.
મનરાલે વધુમાં જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં સુરતના હજીરાથી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા સુધીની રોરો સર્વિસ શરૂ થનાર છે. આ રૂટ પર ફેરી માટે જેટી અને શિપ પ્લેટફોર્મના નિર્માણની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
શીપમાં પરિવાર સાથે મુસાફરી કરી રહેલા ડો.નમ્રતા બાબુભાઈ વિરડીયા શીપની સફરને રોમાંચક અનુભવ ગણાવી છે. તેઓ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના આંકોલવાડી ગામના વતની છે. ડો.નમ્રતા જણાવે છે કે, બોટાદ જિલ્લાનું સાળંગપુર તીર્થધામ અમારી આસ્થાનું કેન્દ્ર છે. ફેરી શરૂ થવાથી સાળંગપુર દર્શને જવાનું ખૂબ સરળ બન્યું છે, દર્શન કરીને સાંજે પરત પણ આવી શકાય છે. વતન જવા માટે અમારા જેવા ભાવનગર જિલ્લાના વતનીઓ માટે રો રો ફેરી ખૂબ આશીર્વાદરૂપ બની છે એમ તેઓ હર્ષથી જણાવે છે.
આ ફેરી સર્વિસ શરૂ થઈ ત્યારથી પોતાનો મહત્તમ માલસામાનની ડિલિવરી આપવા ફેરીનો જ ઉપયોગ કરી રહેલા ભાવનગરના ઉદ્યોગકાર, અગ્રણી ટ્રાન્સપોર્ટર અને ઓલ ઇન્ડિયા ટ્રક ઓનર્સ એસોસિએશનના સભ્ય મુકેશભાઈનું કહેવું હતું કે, હજીરા ઘોઘા ફેરી સેવા ભાવનગર જિલ્લાના ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ બની છે. મુંબઈ સુધી માલસામાન પહોંચાડવામાં અમને દરિયાઈ માર્ગે એક નવી કનેક્ટિવિટી મળી છે. ફેરી સેવાથી અમારા ગ્રાહકોને એક દિવસ વહેલા ડિલિવરી આપી શકીએ.
વિવિધ કેટેગરીમાં મુસાફરો માટે સુવિધાજનક સફરના વિકલ્પો- રો-રો વેસેલ ‘વોયેજ સિમ્ફની’માં ઈકોનોમી, સ્લીપર, એક્ઝીક્યુટીવ, બિઝનેસ ક્લાસ, કેમ્બે લોન્જ અને કેબિન ક્લાસ એમ વિવિધ વિવિધ કેટેગરીમાં સુવિધાજનક સફરના વિકલ્પો છે. ટ્રક ડ્રાઈવરો માટે પણ અલાયદી સુવિધા ઉભી કરાઈ છે, અને તેઓને ચા-નાસ્તો અને એક ટાઈમ ભોજન પણ નિ:શુલ્ક પૂરૂ પાડવામાં આવે છે. કેમ્બે લોન્જમાં ૧૪ વ્યક્તિ, બિઝનેસ ક્લાસમાં ૭૮, એક્ઝીક્યુટીવમાં ૩૧૬ વ્યક્તિ અને ઈકોનોમી ક્લાસમાં ૯૨ વ્યક્તિનો સમાવેશ થઈ શકે છે.
જહાજ: વોયેજ સિમ્ફની- સુરતના હજીરાથી સવારે ૮.૦૦ અને સાંજે ૫.૦૦ વાગ્યે એમ બે ટ્રીપ શરૂ છે. આ બંને સમય અડાજણ બસ સ્ટેશનથી હજીરા ટર્મિનલ જવા માટે એસ.ટી. બસ સુવિધા પણ ઉપલબ્ધ છે.
ક્ષમતા-
૩૦ ટ્રક (૫૦ મેટ્રિક ટનવજન સહિત)
૧૦૦ પેસેન્જર કાર
૫૦૦ પેસેન્જર+ ૩૪ શીપ ક્રૂ સગવડતા
બે ફૂડ કોર્ટ
મુસાફરોની સુરક્ષા માટે અતિ આધુનિક સંસાધનો
. . . . . . . . . . . . . . . .
લાઈફ રાફ્ટ ૨૨ (ક્ષમતા ૨૫ વ્યક્તિ)
મરીન ઈવેક્યુએશન ડિવાઈસ (જે તમામ મુસાફરોને ૨૫ મિનીટમાં બહાર કાઢી લેવાની ક્ષમતા ધરાવે છે), જે ૨ (ક્ષમતા ૩૦૦૦ વ્યક્તિ) અને ૨ (ક્ષમતા ૩૦૦ વ્યક્તિ)માં ઉપલબ્ધ છે.
ફાસ્ટ રેસ્ક્યુ બોટ ૧ (ક્ષમતા૯ વ્યક્તિ)