“રંગમંચને અભિનય કળાનો નશો માનું છું. એવો નશો છે જે તેની દુનિયામાં પગલું ભરે કે રંગમંચ તેની આત્મામાં રગેરગમાં વહેવા લાગે છે. હકીકતમાં એ જીવનનો ઢંગ છે જેમાં અભિનયની બારીકાઈઓ સમાયેલી છે. સમાજની વાસ્તવિક્તાઓને એ સામે લાવે છે. દર્શકો તેમાં પોતાના પ્રતિબંબને જોઈ તેની સાથે જોડાયેલો રહે છે. રંગમંચને એમ જ પાંચમા વેદની ઉપમા નથી મળી.” આ શબ્દો છે નાટ્ય જગતને ચાર-ચાર દાયકાથી વિવિધ રીતે પોતાની ક્ષમતાનો અત્યંત સહજતા અને સરળતાથી પરિચય આપનાર ભ.ભ.ના હૂલામણા નામથી જાણિતા ભરત ભટ્ટના.
વિશ્વ રંગમંચ દિવસ નિમિત્તે ગુજરાત બ્રેકિંગ એક એવા કલાકારનો તમને સાક્ષાત્કાર કરાવવા માંગે છે જેણે કોઈપણ આશા, અપેક્ષા વગર એક ચોક્કસ મુકામ સુરતીઓના હ્રદયમાં હાંસલ કર્યો છે. ભરત ભટ્ટ વિશે પરિચય આપતાં તેમના જાણિતા સાથી કલાકાર દિલીપ ઘાસવાલા કહે છે, “ખુબ લાંબી અને સાતત્યપૂર્ણ કેરિયર બહુ ઓછા લોકોની હથોટીની વાત છે અને ભરત ભટ્ટ એ કલાકાર તરીકે સૌને પ્રિય એટલે જ છે. ભરત ભટ્ટ એક ઉમદા કલાકાર બાદ એક વ્યક્તિ વિશેષ તરીકે પણ અલગ તરી આવે છે. ચાર દાયકામાં ઘણાં કલાકારો સાથે તેણે કામ કર્યું અને આજની નવી પેઢી સાથે પણ એ જે રીતે હસતાં-રમતાં સહજતાથી કામ કરે છે જોઈને અમે પણ તાજગી અનુભવવા લાગીએ છીએ.”
કલાકાર તરીકે તેમની કેરિયર વિશે વિગતો આપતાં તેમણે જણાવ્યું કે, “1980માં હું વલ્લભ નથી, 1982માં જીવતા ખોળીયા, 1986માં રાજભોગ, 1992માં લોપ-અલોપ, 1994-95માં રાક્ષસ અને 1995-96માં આધા તેલ આધા પાની એ ભરત ભટ્ટની રાજય કક્ષાની સફળતાના સાક્ષી એવા યાદગાર નાટકો છે. ત્યારબાદ નર્મદ સિરિયલમાં કવિ નર્મદના શિક્ષક તરીકેની ભૂમિકા, ગુજરાતી ફિલ્મ ચોકઠું ફીટ ઉપરાંત અનેક કોમર્શિયલમાં તેમનો અભિનય જોવા મળે છે. ત્રિઅંકી નાટક સાથે પાલિકાની વિભાગીય સ્ક્રુટિનીમાં નિર્ણાયકની ભૂમિકા હોય કે મોનો એક્ટિંગથી લઈને એન્કરિંગની જવાબદારી ભરત ભટ્ટના હાથમાં કામ આવે એટલે લોકભોગ્ય ઘટના બની જાય એમાં કોઈ બેમત નહીં.”
એક કલાકારના જોમની એનાથી વિશેષ વાત શું હોય કે, ભરત ભટ્ટે તેમની કેરિયરમાં અત્યાર સુધી 15 ત્રિઅંકી 45 એકાંકીના અગણિત શો કર્યા. સભ્યતા કી ઐસીતૈસી અને લોપ-અલોપ એ શહેરના સૌથી સફળ કોમર્શિયલ નાટક છે જેમાં તેમની ભૂમિકા અગ્રિમ હતી. લોપ-અલોપની વાત યાદ કરાવતાં દિલીપ ઘાસવાળા કહે છે, “આ નાટકના સિકવન્સ ખૂબ પડકારરૂપ અને આરોહ-અવરોહમાંથી પસાર થતાં હતા. વિષય બિલ્કુલ હટકે અને મહેનત માંગતો એવામાં નાટકની ટીમે બે સતત શોનો પડકાર ઝિલ્યો હતો. અમને બધાને લાગતું હતું કે શું થશે પરંતુ જે થયું એ અદભૂત હતું બંને શોમાં કોઈ ફર્ક ન હતો બંને એકસરખા તાજગીપૂર્ણ હતા.”
મધરાત સુધી રિહર્સલ કરવું, સવારે ઊઠીને કામ પર વળગવું સાથે સામાજિક અને કૌટુંબિક જવાબદારી પણ આવે ત્યારે પોતાનામાં રહેલા કલાકારને ધબકતો રાખવો એ સહેલું નથી હોતું અને ત્યારે કોઈ એ પ્રવૃત્તિને નાટક-ચેટક કહીને સંબોધે ત્યારે આત્માને ઘા લાગતો હોય છે, આ લાગણીના સાક્ષી એવા શહેરના અન્ય જાણિતા કલાકાર હિમાંશુ ભટ્ટના ચહેરા પર ભ.ભ નામ આવતાં જે ચમક હોય છે એ ગજબનું બોન્ડિંગ છે. “તેઓ કહે છે, 1977માં ધો. 8થી હું અને મિત્રો. તેનો રોલ નં.4 અને મારો રોલ નં.3. લાગણીમાં બંનેની મિત્રતાની વાત યાદ કરતાં ભૂતકાળમાં સરી જઈ હિમાંશુ ભટ્ટ કહે છે, હું તેના ઘરે જઉં તો તેના બા-બાપુજી મને મારો કનુડો આવ્યો એમ કહી હરખ વરસાવે એ અમારી મિત્રતા હતા. ત્યારબાદ સમય સરતો રહ્યો… પ્રમાણિત કલાકાર અને પ્રમાણિક શિક્ષક ભરત ભટ્ટના બે પુત્રો જેમાંથી એકની શૈક્ષણિક કારકિર્દી પરવાને ચડાવવાની હતી તો બીજું પ્રભુનું બાળક તેને વ્હાલથી ઉછેરવાનો… આ તાકાત ફક્ત ભરત ભટ્ટને જ આત્મસાત્ હોઈ શકે. સહેજપણ હિમ્મત હાર્યા વગર તેણે પોતાના નાટકના જીવનું પણ એટલું જ જતન કરી જાણ્યું. તેની આ હિમ્મત મારા જેવા અનેક મિત્રો અને નવી પેઢી માટે પણ પ્રેરણાદાયી છે. એ અગણિત પાત્રોમાં ઢળાયેલું એક અલગ જ વ્યક્તિત્વ છે.”
ભરત ભટ્ટને જ્યારે પૂછવામાં આવ્યું કે “આજના રંગમંચ દિવસે તમે આ પ્રવૃત્તિનું ભવિષ્ય કેવી રીતે જૂઓ છો તો તેમણે કહ્યું, રંગમંચનો વિસ્તાર સાહિત્યથી અનેકગણો વધારે છે. આજે ભલે ટીવી અને મોબાઈલ લોકોના બેડરુમમાં ઘુસી ગયા હોય પરંતુ રંગમંચની જગ્યા ક્યારેય એ નહીં લઈ શકશે.”