સમગ્ર દેશમાં ઉડ્ડયન ઉદ્યોગને ફટકો પડી રહ્યો છે. ભારત સરકાર આ ઉદ્યોગને બેઠો કરવા ઝઝૂમી તો રહી છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, મહાકાય ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગથી દેશના અર્થતંત્રમાં મુલ્યવાન ફાળો આપતું સુરત જોવાને બદલે જ્યાં એવા મોટા સ્કોપ નથી એ શહેરો પર નજર દોડાવવામાં આવી રહી છે. સુરત પ્રત્યેનું ઓરમાયું વર્તન શહેરના એરપોર્ટને ધમધમતા કરવાના સપનાને નુકશાન કરી રહ્યું છે. સુરતને અજ્ઞાત કારણોસર દ્વિપક્ષીય કરારમાં સામેલ નથી કરવામાં આવી રહ્યું અને સુરતને આંતરાષ્ટ્રિય કનેક્ટિવિટી નથી મળી રહી. વિદેશી એરલાઇન્સ સુરત આવવા માટે તૈયાર પણ છે પરંતુ ત્યાં ભારતીય વિમાન કંપનીઓને મહત્વ આપવાની વાત કરીને સમગ્ર બાબતનો છેદ ઉડાડી દેવામાં આવી રહ્યો છે.
ભારતીય વિમાન કંપનીઓની જો વાત કરવામાં આવે તો તેના અનેક ઇસ્યુ છે. હકીકત જોવામાં આવે તો તેઓ ભારતની માંગને પહોંચી વળવા સક્ષમ નથી. કંપનીઓ પાસે પૂરતાં એરક્રાફ્ટ્સ નથી, ફાઈનાન્સિયલ પ્રોબ્લેમથી આ કંપનીઓ લડી રહી છે પોતે સ્થાયી થઈ શકતી નથી અને જે સપ્લાઇ આપી શકે છે તેમાં ફક્ત મેટ્રો સિટીને મહત્વ અપાઈ રહ્યું છે.
સુરતના હિતમાં કેન્દ્ર સરકારે સુરત પ્રત્યે કૂણું વલણ અપનાવવું જોઈએ અને એ સફળ થઈ શકે એમ છે. દેશના ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીની યાદીમાં ૮ માં સ્થાને સુરત હોવા છતાં તેને પ્રાધાન્ય નથી મળી રહ્યું એથી મોટી બીજી તો શું કરૂણતા હોઈ શકે. ભારતની અર્થવ્યવસ્થામાં પણ સુરત મહત્વનું સ્થાન ધરાવે છે આ શહેર રેવન્યુ જનરેટ કરી આપવાની બાબતમાં પણ ગણનાપાત્ર છે ત્યારે એવા શહેરની અવગણના સુરતી ઉદ્યોગપતિઓ માટે બેહદ હતાશાપ્રેરક છે.
આંતરાષ્ટ્રીય, રાષ્ટ્રીય ફલાઇટ કનેક્ટીવીટીનો અભાવ સુરતના વિકાસને રૂંધી રહ્યો છે. ૩૦૦૦ કરોડના ખર્ચે તૈયાર ડાયમંડ બુર્સનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે પરંતુ કનેક્ટિવિટીના અભાવે ઉદ્યોગકારોને શંકા છે કે એ સફળ નહીં થઈ શકે. આ ઉપરાંત પણ અનેક વેપાર એર કનેક્ટિવિટીની સાથે સીધા સંકળાયેલા છે જો એર કનેક્ટિવિટીનો સીધો લાભ સુરત ને નહીં મળે તો સુરતે જે પોતાના જોર પર વિકાસ કર્યો છે તે પણ રૂંધાઇ જશે. શક્ય છે કે સુરતનો ટેકસટાઇલ અને ડાયમંડ પૂણ એક નાનકડા દાયરામાં સમટાઈ જાય અને એ ટ્રેડિંગ હબ તરીકે નહિ ફક્ત ઉત્પાદક શહેર પૂરતું રહીને પોતાની ઓખળ ગુમાવી દે.
સુરત એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સરકારી તંત્રને કોઈ રસ જ નથી. જે સમ ખાવા પૂરતું કામ થઈ રહ્યું છે તે પણ સાવ મંથરગતિએ ચાલે છે. રન વે લંબાવવાની માંગણી ઘણા સમય જૂની છે પરંતુ જમીન અધિગ્રહણ કરી એરપોર્ટ ઓથોરિટીને સોંપવામાં તંત્ર રસ નથી લઈ રહ્યું. આંતરાષ્ટ્રીય કક્ષાના બીજા ફૂલ લેંથ રનવેની સખત જરૂરિયાત છે તેને માટે જમીન અધિગ્રહણ કરવામાં કોઈ તંત્ર રસ લઈ પગલા લેવામાં આવતા નથી. એ ઉપરાંત અપ્રોચ લાઇટ કેટ ૧/ કેટ ૨/ કેટ ૩ કેટેગરી ઘણા સમય થી તેની જરૂરિયાત છે પરંતુ તે પણ કામ પૂરૂં કરવામાં આવતું નથી. સુરત એરપોર્ટની આસપાસ અનેક અનઅધિકૃત ઝીંગા તળાવો છે નથી તેને હટાવવામાં કોઈને રસ. આ રીતે જ જો તંત્ર ચાલવાનું હોય તો સુરત માટે કેવી રીતો વિકાસની નવી કેડીઓ કંડારી શકાશે.
ચર્ચા જોરમાં છે કે વડાપ્રધાન મોદી એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરવા આવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે સુરત એરપોર્ટ ઓથોરિટી કે નાગરિક ઉડ્ડયન એ માટે તૈયાર છે ખરી. મંત્રાલયે હજી ઉડાન હેઠળ ઇન્ટરનેશનલ રૂટની જાહેરાત કરી નથી. ઇન્ટનેશનલ એરપોર્ટનો ટેગ મળે તે માટે ગેજેટ notification પણ પ્રસિધ્ધ થયું નથી. એરપોર્ટનો પોઇન્ટ ઓફ કોલમાં સમાવિષ્ઠ કરવામાં આવ્યો નથી. દક્ષિણ ગુજરાત અને નોર્થ મહારાષ્ટ્રના હજ પેસેન્જર માટે એમ્બરકેસન પોઇન્ટ જાહેર કર્યું નથી. આ બધા મુદ્દાઓને અવગણના કરાય તો પ્રધાનમંત્રી પાસે ફક્ત ધોળા હાથીને રજૂ કરી ઉદઘાટન કરાવવાનો પણ અર્થ સરતો નથી.
સુરતથી નાના ગજાના શહેરોને ૧૦૦૦ કરોડ ,૨૦૦૦ કરોડ ફાળવીને એરપોર્ટના વિકાસ કરવામાં આવી રહ્યા છે જેની સામે સુરતની વાત કરીએ તો ફક્ત ટર્મિનલ વિસ્તરણ માટે આશરે ૧૫૦ કરોડ અને અને અન્ય કામો માટે ૨૫૩ કરોડ ની ફાળવણી ૨૦૧૮માં કરવામાં આવી અને હાથ ખંખેરી લેવાયા છતાંય તે આજે લગભગ ૫ વર્ષ પૂર્ણ થવા આવ્યા તો પણ એ કામ પૂર્ણ કરી શક્યા નથી. સુરતની જગ્યા બીજું કોઈ એરપોર્ટ હોત તો કદાચ પાંચ વર્ષમાં તો લગભગ બીજા અપગ્રેડેશન માટે ફાળવણી થઈ જાત પણ સુરતનું વહીવટીતંત્ર અને શાસકો બંનેને જાણે એરપોર્ટની કોઈ એલર્જી હોય.
સુરત એરપોર્ટ પર એકસમયે એરઈન્ડિયા, સ્પાઇસ જેટ, ઇન્ડિગો, ગો એર, એર ઇન્ડિયા એક્સપ્રેસ જેવી કંપનીઓ સર્વિસ આપતી હતી. આજે કોઈ સ્થિરતા વગર થોડીઘણી આવનજાવનથી સંતોષ મેળવવો પડે છે ત્યારે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ વર્ષોથી હિમ્મત હાર્યા વગર સતત સુરતને એર કનેક્ટિવિટી મળે તે માટે પ્રયત્નશીલ છે. આ ગ્રુપ દ્વારા સ્પાઇસજેટ, અકાશા એર જોડે મંત્રણા ચાલી રહી છે અને સ્પાઇસ જેટ પુન: તેની સેવા પ્રારંભ કરે અને ૨ થી ૪ સેક્ટર સુરતથી ફરી શરૂ કરે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. ગ્રુપના અગ્રણીઓનું એમપણ કહેવું છે કે, અકાશા એર સાથે પણ પત્ર વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને સુરતથી પોતાનું સ્ટેશન શરૂ કરે તે માટે પ્રયાસ થઇ રહ્યા છે. ઇન્ડિગો એર લાઇન્સને પણ એ જ રીતે રજૂઆત કરી કનેક્ટિવિટી જાહેર કર્યા બાદ પોતાની ફલાઇટ પાછી નહિ ખેચવા અને નવી ફલાઇટ્સ શરૂ કરવા માંગણી થઈ રહી છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સભ્ય સંજય જૈનના જણાવ્યા મુજબ, સુરતને પૂર્ણ કક્ષાનું એરપોર્ટ મળે તે માટે પ્રયાસો આ ગ્રુપ કરી રહ્યું છે.