ભારત 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે તૈયાર છે. દરમિયાન, ઈન્ટેલિજન્સ બ્યુરોએ પોલીસને ખતરાની ચેતવણી આપી છે અને સતર્ક રહેવા જણાવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે બ્યુરો દ્વારા 10 પાનાનો રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે, જેમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબાથી લઈને ઉદયપુર અને અમરાવતીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અહેવાલ છે કે IBએ તેના રિપોર્ટમાં કટ્ટરપંથી જૂથો તરફથી ખતરાની વાત કરી છે. તેમજ 15 ઓગસ્ટ માટે દિલ્હી પોલીસને લાલ કિલ્લામાં પ્રવેશ માટે કડક નિયમો લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે. આઈબીએ રિપોર્ટમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેની હત્યાનો પણ સમાવેશ કર્યો છે. તાજેતરમાં દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસ પર ટ્રાફિકને લઈને એડવાઈઝરી પણ જારી કરી હતી.
ઉદયપુર અને અમરાવતીમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને એજન્સીઓએ પોલીસને કટ્ટરપંથી જૂથો અને ભીડભાડવાળા વિસ્તારોમાં તેમની પ્રવૃત્તિઓ વિશે સતર્ક રહેવા જણાવ્યું છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની ISI જૈશ અને લશ્કરના આતંકીઓને મદદ આપીને આતંકી ઘટનાઓને ઉશ્કેરી રહી છે. અહેવાલ છે કે આતંકીઓને મોટા નેતાઓ અને મહત્વના સ્થળોને નિશાન બનાવવાની સૂચના આપવામાં આવી છે.