16 એપ્રિલથી અમલ 100 ટકાના વધારા પછી જંત્રી દરો બાબતે ઢગલાબંધ ફરિયાદો મળી રહી છે. હકીકતમાં, જંત્રીના દરોમાં મોટાપાયે વિસંગતતાઓ પ્રવર્તી રહી છે. આ વિસંગતતાઓ દુર થાય એ માટે રેવન્યુ વિભાગે હવે રાજ્યભરમાં જંત્રી દરો સુધારવા કવાયત શરૂ કરી છે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં હાલ સ્થિતિ એ છે કે, અહીંના પોશ વિસ્તારોમાં જંત્રી દર અન્ય વિસ્તારો કરતા ઓછા છે.
સરકાર હવે ડિસેમ્બરના અંત સુધીમાં જંત્રી દરમાં સુધારો કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. રેવન્યુ વિભાગે હાલ તો ગ્રામ્ય વિસ્તારોમાં સરવે શરૂ કરી દીધા છે. અધિકારીઓ સરવે સાથે ભાવો પણ નક્કી કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગામતળ, ખેતરની નજીકના વિસ્તારો, તળાવની નજીકના વિસ્તારોના જંત્રી દરોમાં અસંતોષ જ છે. રેવન્યુ વિભાગ ગ્રાઉન્ડ સરવે કર્યા બાદ તેના આધારે નવા દરો નક્કી કરશે. સુત્રોનો દાવો છે કે, જંત્રી દરોમાં સાતત્ય જાળવવા એક ચોક્કસ સાયન્ટિફિક ફોર્મ્યુલા વિકસાવાઈ રહી છે.
ગ્રામ્ય વિસ્તારોની કામગીરી આટોપાઈ જાય ત્યારબાદ બીજા તબક્કામાં શહેરોમાં જંત્રી દરમાં સુધારણાનું કામ શરૂ થઈ શકે છે. સુરતની વાત કરીએ તો, અલથાણ, વેસુ, પાલ જહાંગીરપુરા, ઉગત તો બીજીતરફ ડીંડોલી ખરવાસા જેવા સંખ્યાબંધ નવા વિસ્તારોમાં જમીનના ભાવો જુના વિસ્તારો કરતા બમણાથી પણ વધારે છે.
સુરત માટે પ્લાન તૈયાર કરતાં એક અધિકારીએ ગુજરાત બ્રેકિંગને જણાવ્યા અનુસાર, આ મોંઘા વિસ્તારોમાં જંત્રી દરનો વધારો કરવામાં આવશે. જ્યારે અન્ય વિસ્તારોમાં ઘટી પણ શકે છે. જો કે તમને જણાવી દઇએ કે, ભાવ વધારામાં કોઇ રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. જંત્રીના નવા દરો 100 ટકા વધારાનો આધાર લઇને જ તૈયાર થશે. માત્ર સુરત જ નહીં અમદાવાદ, રાજકોટ, વડોદરા વગેરે શહેરોમાં પણ આ જ સ્થિતિ છે. જંત્રી દરો નક્કી થયાને એક દાયકા કરતાં વધારે સમય વિતી ગયો છે અને એ વચ્ચે તો તમામ શહેરોના વિસ્તારોનો વિકાસ કૂદકે ને ભૂસકે ક્યાંય પહોંચી ગયો છે.