નર્મદાના પાણી, બદલાતી હવામાનની પેટર્ન વચ્ચે આ ચોમાસું તેના પ્રથમ દિવસથી દરેક રીતે અનપ્રિડેક્ટેબલ સાબિત થઈ રહ્યું છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં જે રીતે વરસાદ ફરી વળ્યો છે એ કોઈની પણ આગાહીઓથી દૂરનું કુદરતી પરિવર્તન હોવાથી એ ખાસ સંજોગો તરીકે ખાસ કરીને હવામાન વૈજ્ઞાનિકો દ્વારા જોવાઈ રહ્યું છે. પ્રોગ્રેસિવ ખેડૂતો માટે પણ એ અભ્યાસનો વિષય છે. ખેતીવાડીની પેટર્ન બદલવાનો આ સમય છે જેને જગતના તાતે ફરીથી સમજવો જ રહ્યો. વરસાદને રોજગારીની દ્રષ્ટિએ જોઈએ તો બીજા ઘણાં પરિવર્તનો જાણકારો જોઈ રહ્યા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ બાબતે આગામી દિવસોમાં એક નવી પહેલ કરવાનું આયોજન થઈ રહ્યું છે. જે રાજ્યને એક નવી દિશા તરફ લઈ જઈ શકે.
નવસારી અને આણંદ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોનું કહેવું છે કે, વરસાદની સિઝનના પ્રથમ જ સપ્તાહમાં જો એ હાલત હોય કે સૌરાષ્ટ્રમાં 63.13 અને ઉત્તર ગુજરાતમાં નોંધપાત્ર 45.24 ટકા વરસાદ વરસી જતો હોય તો આ એક ચોક્કસ જ વૈવિધ્યપૂર્ણ કુદરતી સંજોગનું નિર્માણ છે. બદલાતી પેટર્નની નિશાની છે જે અગાઉના બે વર્ષથી આકાર લઈ રહી હતી. આ ક્રમ આગામી વર્ષોમાં ચાલુ રહે છે તો જીવનધોરણને નવેસરથી વિચારવાની જરૂરત પડશે તેમાં કોઈ બેમત નથી. વાત કૃષિ ક્ષેત્રની છે જ્યાં અત્યાર સુધી જે ખેતી થતી હતી એ હવે બદલાતા હવામાનમાં તેમણે પાક બદલવા પડશે. તો કયા પાક હવે આ નવનિર્મિત સંજોગોમાં અનુકુળ રહી શકે છે એ અભ્યાસ ખેડૂતોએ કરવો રહ્યો.
આ સ્થિતિ રાજ્યભરના ખેડૂતો માટે નિર્મિત છે. દક્ષિણ ગુજરાતમાં પણ અનિયમિત વરસાદ પાકની પેટર્ન બદલવા તરફ દોરી રહી છે. કેટલાક પ્રોગ્રેસિવ ખેડૂતો તેને અનુસરી પણ રહ્યા છે. છતાંય તેના વ્યાપક ઉપયોગ માટે એક સાયન્ટિફિક એનાલિસિસ આગળ આવે એ જરૂરી માનવામાં આવી રહ્યું છે. એ અંગે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ તૈયારી કરી રહી છે.
કુદરતના ખેલ હંમેશા નિરાળા જ હોય છે. ગમે તેટલો ટેક્નોલોજી યુગ આગળ વધે અને માણસ પોતાને ઈન્ટેલિન્ટ કે સ્માર્ટ ગેઝેટથી સક્ષમ કરે પરંતુ કુદરતની ચાલ સમજથી પરે જ નીકળે છે અને તેની સામે નવા અણધાર્યા પડકારો લાવે છે. ન તો દક્ષિણ ગુજરાતમાં રાતોરાત કોઈ જંગલનો એવો મોટો સફાયો થયો છે કે ન તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં કોઈ પર્યાવરણવાદીઓએ એવી લીલોતરી પાથરી છે કે વરસાદ તેની સમગ્ર પેટર્ન બદલવા મજબૂર બની જાય. તમને જણાવી દઈએ કે, આજે સવારથી બનાસકાંઠાના પાલનપુર, ધાનેરા, ભાભરના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો વિતેલા 24 કલાકમાં અબડાસા, સુઇગામમાં 5-5 ઇંચ વરસાદ તો સાંતલપુર ખાતે તો 6.5 ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે. દક્ષિણ ગુજરાતના કોઈપણ વિસ્તાર કરતાં એ અનેકગણો વધારે છે. સિઝનની વાત કરીએ તો મોન્સુનના એક સપ્તાહમાં તો સૌરાષ્ટ્રમાં 63.14 ટકા અને ઉત્તર ગુજરાતમાં 45.24 ટકા નોંધાઈ પણ ચૂક્યો છે.
બદલાતી પેટર્નની બીજી એક અસર સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત અને સુરત સંલગ્ન વ્યવસાય પર જોવા મળી રહી છે એ ડાયમંડ ઉદ્યોગમાં પણ સારી એવી ચર્ચાનો વિષય છે. એકતરફ છેલ્લા ઘણાં સમયથી આ ઉદ્યોગ એવી મંદીનો માર ઝીલી રહી છે જ્યાં કારીગરોને માસિક વેતન પણ ચૂકવવાના ફાંફા પડી રહ્યા છે. રજાઓ અને નોકરીમાંથી છૂટ્ટા કરી દેવાની ઘટનાઓથી ઘર્ષણ વધી રહ્યા છે એ નફામાં એ સમયમાં ચોમાસાની સારી સિઝનથી લોકો અલગ વિચારવા તરફ વળી રહ્યા છે. રત્નકલાકાર સંઘ સાથે સંકળાયેલા અગ્રણીઓનું કહેવું છે કે, છેલ્લા બે-ત્રણ ચોમાસાથી સ્થિતિ બદલાઈ છે. સૌરાષ્ટ્રમાં ચેકડેમ છલકાય છે તો નર્મદાના પાણી મળતાં અગાઉ જેવી હાડમારી રહી નથી ત્યારે ઘણાં પરિવારોએ ફરી વતનની વાટ પકડવા માંડી છે આ સિલસિલો ધીમેધીમે જોર પકડી રહ્યો છે. આર્થિક સંકડામણને પાર પાડવા એ ઉત્તમ વિકલ્પ હોવાનું પરિવારો સમજી રહ્યા છે. એ સંજોગોમાં ડાયમંડ ઉદ્યોગોએ પણ અનેક સ્તરે પૂનઃવિચારણા કરવાનો સમય હવે પાકી ચૂક્યો છે.