વિજયાદશમીના પાવન મુહૂર્તમાં ડાયમંડ બુર્સની 983 ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિ અને હર્ષોલ્લાસ સાથે ઘટસ્થાપનની વિધિ થઈ. ડાયમંડ સિટીને નવી ઓળખ આપતા આ ઐતિહાસિક પ્રસંગે હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ સુરતના સાંસદ દર્શના જરદોશ સહિત નગરશ્રેષ્ઠીઓની પ્રભાવક ઉપસ્થિતિ રહી હતી. હવે 17મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરે એ માટેની તૈયારીઓ તરફ સૌનું ધ્યાન રહેશે.
ડાયમંડ સિટી સુરત માટે આજનું વિજયાદશમીનું પર્વ ઐતિહાસિક દિવસ પૂરવાર થયું છે. આ પાવન પર્વ નિમિત્તે સુરત ડાયમંડ બુર્સની 983 ઓફિસોમાં ઘટસ્થાપનની વિધિ યોજાઈ હતી.
આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સના તમામ કમિટી સભ્યો સહિત પાંચ હજારની લોકોની પ્રભાવક ઉપસ્થિતિ જોવા મળી હતી. વાતાવરણમાં એક અનોખો ઉમંગ અને ઉત્સાહ હતો.
સુરતનું ડાયમંડ બુર્સ હીરા ઉદ્યોગ જગત માટે એક માઈલસ્ટોન સમાન બની રહેશે એ બેમત છે ત્યારે વાજતે-ગાજતે સરસ શોભાયાત્રા નીકળી હતી.
શોભાયાત્રામાં નવસારી સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમજ સુરતના સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ સહીત નગર શ્રેષ્ઠીઓ પણ જોડાયા હતા.
આ સાથે જ સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટનનું કાઉન્ટડાઉન શરૂ પણ શરૂ થઈ ગયું છે. આજના શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપન બાદ હવે 17મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરે એ તરફની તૈયારીઓ તરફ સૌનું ધ્યાન રહેશે.