અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કડોદરા અને કામરેજ ટોલનાકા વિસ્તારની આજુબાજુના પુષ્કળ દબાણો અંગે લોકફરિયાદો બાદ કલેક્ટરે સ્થળ મુલાકાત લઈ લોકોને એ અગવડમાંથી મુક્તિ અપાવવાનો માર્ગ મોકળો કર્યો છે. જણાવી દઈએ કે, દબાણોને કારણે ખાસ કરીને વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ રજૂઆત સાથે આ મુદ્દો ચમક્યો હતો.
જિલ્લા કલેક્ટર આયૂષ ઓકે નેશનલ હાઈવેના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુરજકુમાર તથા એસડીએમ કામરેજ, કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ , પોલીસ અધિકારી સમક્ષ નેશનલ હાઈવે પરના દબાણો દુર કરવા, નેશનલ હાઈવે પરની વોટર ચેનલને ખુલ્લી કરવા અને વરસાદી પાણીના નિકાલમાં અવરોધ રૂપ દબાણોને ખુલ્લા કરાવવા તમામ વિભાગોને સંકલન કરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.
આ ઉપરાત સિંચાઈ વિભાગની કેનાલમાં ઘન કચરાના નિકાલ માટે સંબંધિત ગ્રામ પંચાયત અને નગરપાલિકાના પદાધિકારી તેમજ અધિકારીઓની સંયુકત મિટીંગ બોલાવવાની પણ કલેક્ટરે સૂચના આપી હતી.
કામરેજના માનસરોવર રેસિડન્સીની આસપાસ નેશનલ હાઈવે ઓથોરિટીને દબાણો દૂર કરવા તથા પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરીટીની સંયુક્ત ટીમને સરવે કરી કડોદરા આસપાસના વિસ્તારના નેશનલ હાઈવેના ભાગને નો પાર્કીંગ ઝોન ઘોષિત કરવા માટે પણ સરવે કરી દરખાસ્ત કરવા તાકીદ કરવામાં આવી છે.