દેશભરની સાથે ગુજરાતમાં કોરોના સામેની સાવધાનીના ભાગરૂપે આજે હોસ્પિટલ્સમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં કોરોના અંગે તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રીએ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
બેઠકમાં તેમણે સુરત સહિત રાજયની અન્ય હોસ્પીટલોમાં યોજાયેલી મોકડ્રીલ અંગે પણ માહિતી મેળવી હતી. ઋષિકેશ પટેલે હોસ્પિટલમાં આઈસીયુ સુવિધા સહિતની બેડ ઉપરાંત ઓક્સિજનના સ્ટોક અંગે વિશેષ ઝીણવટભરી વિગતો મેળવી હતી.
કોરોનાની બીજી લહેર વખતે ઓક્સિજનની અછતથી અનેક દર્દીઓના મૃત્યુ થયા હતા અને અત્યંત દારૂણ સ્થિતિ સર્જાઈ હતી. સરકાર એ અનુભવો બાદ હવે સાવધાન છે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર કોરોના કેસ વધે તો આગામી સમયમાં વખતોવખત તંત્રના પગલાઓની સમીક્ષા રાખશે.
આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં કેસ કાબુમાં છે. લોકો તકેદારી રાખશે તો કેસમાં વધારો નહી થશે. દેશના ત્રણ રાજયોએ માસ્ક ફરજિયાત કર્યા છે એ બાબતે સ્પષ્ટતા કરતાં આરોગ્ય મંત્રી પટેલે જણાવ્યું કે ગુજરાતમાં હજી એ પ્રકારની જરૂર વર્તાઈ નથી રહી. જો કેસમાં અસામાન્ય ઉછાળો નોંધાય તેવું લાગે અને આવશ્યકતા પડશે તો રાજયમાં માસ્ક ફરજિયાત કરી પણ શકાય છે.