માર્ચ હજી માંડ આજે શરૂ થયો છે પરંતુ રાજયભરમાં તાપમાનનો પારો ઉપર ચડવા લાગ્યો છે. ઉનાળાની અસર ફેબ્રુઆરીથી જ જો આ હદે વર્તાઇ છે તો મે-જૂન કેવા ત્રાહિમામ્ પોકારી દેતાં આવશે તેની ચર્ચા લોકોમાં ઉકળાટ લાવી રહી છે. માર્ચ સાથે જ 37-38 ડિગ્રી મહતમ તાપમાન જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન પલટાની આગાહીએ લોકોની ચિંતામાં ઔર વધારો કર્યો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે,.4 થી 6 માર્ચ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ તથા મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠું થાય તેવી સંભાવના છે.
રાજય હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સકર્યુલેશન આકાર લઇ રહયું છે. અને તેની ગતિ ગુજરાત તરફ થઇ રહી છે. જેની અસરથી તા.4થી 6 માર્ચ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જે ખેડૂતોમાં નિશ્ચિત ચિંતાનું કારણ બની શકે છે.
વિભાગ જણાવે છે કે માવઠાંની તીવ્રતા ભલે ઓછી હશે પરંતુ આ વરસાદ 60થી 70 ટકાને આવરી લેશે. કમોસમી વરસાદ ખેડૂતોની હોળી બગાડે એવી આ આગાહીથી નિરાશા વ્યાપે એ સ્વભાવિક છે, ખાસ કરીને કેરીના ખેડૂતો માટે એ કપરાં સંજોગ સર્જી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં માર્ચ મહિનામાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચશે. આગામી દિવસોમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો સામનો કરવો જ રહ્યો. સહન કરવી પડશે. હાલ તા.4થી 6 માર્ચ વચ્ચે કચ્છ, ભાવનગર, જૂનાગઢ અને સુરત અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા વર્તાઈ રહી છે.