વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજયપાલ દેવવ્રત આચાર્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ ગાંધીનગર-ભાજપ કાર્યાલય કમલમ સુધી રોડ-શૉ મારફતે પહોંચશે.
આ રોડ-શૉ દરમિયાન ગુજરાત જુદા-જુદા સમાજના અગ્રણીઓ તેમનું સ્વાગત અને સન્માન કરશે. નોંધનીય છેકે કમલમમાં ભાજપના 430 આમંત્રિતોને ફક્ત ડિજિટલ કિયોસ્કથી જ એન્ટ્રી મળશે. કડક સુરક્ષાના કારણે આમંત્રિત ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો સિવાય કોઈને એન્ટ્રી નહીં મળે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાટે 6000થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત છે.
10 કિમી લાંબા રોડ શોમાં લાખો કાર્યકરોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન મોદી નીકળ્યા ત્યારે ઉપસ્થિત લોકો ઉત્સાહમાં આવી ગયા હતા. વડાપ્રધાન મોદીનો પણ ઉત્સાહ જ કઈ અલગ જોવા મળતો હતો.એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાન્સ, કુચીપુડી, ભારત નાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરવા માટેનો થનગનાટ જોવા મળ્યો છે.
સાંજે 6 કલાકે ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની બેઠક મળશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ , પી.કે. લહેરી, હર્ષવર્ધન નીવેટીયા અને પ્રો. જે. ડી. પરમાર સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું અવસાન થતાં તેમની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટની એક વર્ષથી માત્ર વર્ચ્યુઅલ બેઠક યોજાતી હતી.
આજે ગાંધીનગર ખાતે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની બેઠક મળશે. જેમાં વિકાસના વિવિધ કામોને મંજૂરીની આખરી મહોર લાગી શકે છે. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટમાં ત્રણ ટ્રસ્ટીઓની ખાલી પડેલી જગ્યા પર નિમણૂક કરવાની શક્યતા રહેલી છે. મંદિર પરિસરની આસપાસના વિસ્તારમાં ભક્તો માટે કોરિડોર સહિત નવનિર્મિત કામોને પણ ચોક્કસ મંજૂરી મળી શકે છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આજ સાંજથી ગુજરાતની મુલાકાતે છે. તેઓ રાજભવન જશે. સાંજે 6 કલાકે રાજભવનમાં મળનારી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ આવતીકાલે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના લોકાર્પણ અને પદવીદાન સમારોહમાં હાજર રહેશે. આવતીકાલે તેઓ કોચરબ આશ્રમની મુલાકાત લેશે. કોચરબ આશ્રમથી તેઓ સાયકલ રેલીને પ્રસ્થાન કરાવશે. તેઓ કાલે રાત્રે જ દિલ્લી જવા રવાના થશે.
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીએમડીસી ગ્રાઉન્ડમાં સરપંચ સંમેલન અને 12 માર્ચે નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભના હાજરી આપશે.