કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વક્તાણા ગામે, ભાટિયા ટોલ પ્લાઝા પાસે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સતિષ અગ્નિહોત્રીએ કેન્દ્રીય રેલવે મંત્રી ૨૨ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની કાર્યપદ્ધિતીથી માહિતગાર કર્યા હતા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 2026માં સુરત અને બીલીમોરા વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું લક્ષ્યાંક હાંસલ કરવામાં આવશે કારણ કે આ દિશામાં સારી પ્રગતિ થઈ રહી છે. સરકારના મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવા વૈષ્ણવ સુરતમાં હતા.
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, અમે 2026માં સુરત અને બીલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આમાં સારી પ્રગતિ થઈ રહી છે અને અમને વિશ્વાસ છે કે ત્યાં સુધીમાં અમે ટ્રેન ચલાવવાનું કામ પૂર્ણ કરી લઈશું.
આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ અને મુંબઈ વચ્ચેના ‘હાઈ સ્પીડ રેલ’ (HSR) કોરિડોરમાં 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન દોડાવવાની છે. આ અંતર 508 કિમી છે અને બંને સ્થળો વચ્ચે 12 સ્ટેશન હશે. હાલમાં, બંને શહેરો વચ્ચેની મુસાફરીમાં છ કલાકનો સમય લાગે છે, પરંતુ બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ સમયગાળો ઘટીને ત્રણ કલાકની થવાની ધારણા છે. યાર્ડમાં રેલવે કોરિડોર માટેના 30થી 60 મીટર લંબાઈના વિશાળ સ્પાનોનું ઉત્પાદન પ્રગતિમાં છે
આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 1.1 લાખ કરોડ રૂપિયા છે અને ખર્ચના 81 ટકા જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા ઉઠાવવામાં આવશે. વૈષ્ણવે કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રૂટના 61 કિમી પર પિલર લગાવવામાં આવ્યા છે અને 150 કિમી પર કામ ચાલી રહ્યું છે.
એ પૂર્વે રેલવેમંત્રી વૈષ્ણવે નિર્માણાધીન અંત્રોલી રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ પણ આ મુલાકાતમાં જોડાયા હતા.