ટ્રાન્સજેન્ડર્સ માટે અલગ જાહેર શૌચાલયની માંગ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટના એકટીંગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ અને જસ્ટીસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ અરજી સંદર્ભે કેન્દ્ર સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. રિટમાં થયેલી રજૂઆત અનુસાર, સ્ત્રી અને પુરુષની જેમ ‘થર્ડ જેન્ડર’વ્યક્તિના પણ કેટલાક મૂળભૂત અધિકારો છે અને તેનો સહેજે ભંગ ન થવો જોઈએ. જાહેર શૌચાલય જેવી સુવિધા તેમને ન આપવામાં આવે તો સમાનતા સહિતના બંધારણીય હકોનો ભંગ છે.
અરજદાર ડો. સ્નેહા અશ્વિનભાઈ ત્રિવેદી તરફથી એડવોકેટ વિલવ ભાટીયાએ જાહેરહિતની અરજી દાખલ કરી છે. અરજીમાં જણાવ્યા અનુસાર, ‘સુપ્રીમ કોર્ટે નાલસા વિરુદ્ધ કેન્દ્ર સરકારના કેસના ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું છે કે રાજય સરકારે ટ્રાન્સજેન્ડર્સ માટે પણ હોસ્પિટલની સ્વાસ્થ્ય સેવાઓ અને જાહેર શૌચાલયની સુવિધાઓ આપવી જોઈએ. ગુજરાતમાં ટ્રાન્સજેન્ડર્સ માટે એક્પણ જાહેર શૌચાલય બાંધવામાં આવ્યા નથી. આવા શૌચાલયો માટે કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય ભંડોળની ફાળવણી પણ થતી હોય છે. સંબંધિત ઓથોરિટી સમક્ષ આ બાબતે રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન થતા હાઈકોર્ટ સમક્ષ રિટ થઈ છે.’
રિટમાં વધુમાં એવી પણ રજૂઆત થઈ છે કે, ‘આ એક ગંભીર મુદ્દો છે, કેમ કે ટ્રાન્સજેન્ડર સમુદાય તેમના રોજીંદા જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરતો હોય છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોવા છતાંય તેમની મુશ્કેલીઓનો કોઈ અંત નથી આવ્યો. જેન્ડર ન્યુટ્રલ ટોઈલેટનો અભાવ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ ભંગ કરે છે. કેમ કે એમાં ઠરાવવામાં આવ્યું છે કે દરેક જેન્ડરની વ્યક્તિના કેટલાક બંધારણીય માનવ અધિકારો છે. જેમાં જાહેર શૌચાલયનો પણ સમાવેશ થાય છે અને જો ટ્રાન્સજેન્ડર્સને એ સુવિધા ન અપાય તો એ બંધારણનો પણ ભંગ છે. દિલ્હી હાઈકોર્ટમાં આ મુદ્દે જ રિટ થઈ હતી અને એમાં 50 શૌચાલયો બાંધવાનો આદેશ થયો હતો આદેશ બાદ અમુક શૌચાલયો બંધાઈ પણ ગયા છે.