નર્મદા જિલ્લા સ્થિત નીલકંઠધામ પોઈચા ખાતે સંસ્કૃત શાસ્ત્રાર્થ વિદ્વાનોનો રાષ્ટ્રીય સન્માન સમારોહ યોજાયો હતો. ભવ્ય આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતી હતી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75 વર્ષના અમૃત મહોત્સવના ઉપક્રમે આ ભવ્ય આયોજન થયું હતું. આ પ્રસંગે રાજયપાલ દેવવ્રતજીએ નિલકંઠધામ ખાતે ગૌમાતાનુ પૂજન તથા તીર્થાલયનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દરેક ભાષાઓની જનની સંસ્કૃત છે. દુનિયાની સૌથી પુરાતન અને ઈશ્વરીય ભાષા સંસ્કૃત છે. સંસ્કૃતથી પરિપુર્ણ ભાષા કોઈ નથી. તેમણે નિલકંઠધામના આંગણે રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થ સમારોહ યોજવા બદલ સંતગણને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે નિલકંઠધામના સ્થાપક ધર્મવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, માનવ અને રાષ્ટ્રને અનુસાશન કરે તે શાસ્ત્ર છે. રાજકોટ ગુરુકુલની સ્થાપના 75 વર્ષ પુર્ણ થવાના અવસરે ઉજવાઈ રહેલા અમૃત મહોત્સવના અવસરે રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થનુ આયોજન કરવામાં આવ્યું છે.
સમારોહમાં ભારતભરમાંથી સંસ્કૃતના પંડિતો, વિશ્વ વિદ્યાલયના જ્ઞાતાઓ, વિદ્વાનો ઉપસ્થિત રહ્યા છે. ગુરુકુલના માધ્યમથી ઉત્તમ નાગરિકોનું ધડતર કરવામાં આવતું હોવાની વિગતો તેમણે આપી હતી. નિલકંઠધામના આંગણે બે દિવસીય રાષ્ટ્રિય સંસ્કૃત શાસ્ત્રાર્થના અવસરે રાજયપાલના હસ્તે દેશભરમાંથી આવેલા સંસ્કૃત વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ, વિદ્વાનો, પંડિતોનું શિલ્ડ આપી સન્માન કર્યું હતું.
શ્રીપ્રભુ સ્વામી તથા ગુસ્કુલ ધર્મજીવન સંત પાઠશાળાના પ્રધાન આચાર્ય અને શાસ્રાર્થના આયોજક સ્વરૂપદાસ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાય દર્શન ગ્રંથનું વિમોચન રાજ્યપાલના હસ્તે કરાવ્યું હતું.આ અવસરે વડતાલના સ્વામીશ્રી સંતવલ્લભદાસજી સ્વામી, ઉદ્યોગ અગ્રણી લાલજીભાઈ પટેલ, રાકેશભાઈ દુધાત, ઈશ્વરભાઈ ધોળકીયા, ધીરૂભાઈ કોટડીયા, દેશભરની કેન્દ્રીય અને રાજયની સંસ્કૃત યુનિવર્સિટીઓના સંસ્કૃતના વિદ્વાન સર્વશ્રી કમલેશ ઝા, મધુસૂદન પેન્ના, મુરલી મનોહર પાઠક, રામનારાયણ દ્રિવેદી, એસ.એસ.ઉપાધ્યાય તેમજ અન્ય સહિત 200થી વધુ વિદ્વાનો, સંસ્કૃત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની પ્રભાવક ઉપસ્થિતી હતી.