ભારતને મેડિકલ ટુરિઝમના હબ તરીકે સ્થાપિત કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા પ્રયાસોના હવે સુખદ પરિણામો આવવા લાગ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી શ્રીપદ નાઈકે હાલમાં જ ગોવામાં આયોજિત G-20 સંબંધિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે 14 લાખ વિદેશી પ્રવાસીઓ માત્ર સારવાર માટે જ ભારત આવ્યા હતા. દેખીતી રીતે, આમાં દર્દીઓ સાથે આવેલા લોકોનો પણ સમાવેશ થાય છે. આ આંકડો પોતે જ સાબિત કરે છે કે વિશ્વમાં ભારતની તબીબી સુવિધાઓ પર વિશ્વાસ વધી રહ્યો છે. ફક્ત આંકડાઓ જ નહીં એક વિદેશી નાગરિકે વિશ્વાસ ગુમાવી દીધા બાદ ભારતમાં જે નવજીવન મેળવ્યું તેની અદભૂત એક વાત જાણીશું જે ભારતીય મેડિકલ ટુરિઝમના ઉજ્જવળ ભવિષ્ય તરફ આશાના સંચારરૂપ છે.
મેડિકલ ટુરિઝમની અંગેની વિગતો જાણીએ એ પૂર્વે આપણે ભારતમાં એક લેડીએ કઈ રીતે નવજીવન મેળવ્યું તેના કિસ્સા પર નજર કરીશું. એ ચમત્કાર સર્જીને વ્યવસાયિક જ નહીં ભારતીય તબીબી જ્ઞાનને સન્માન અપાવનાર ડો. પાર્થ રાણા પાસે પહેલા તો એ જાણી લો કે, જે જટીલ ઓપરેશનને તેમણે સફળતાપૂર્વક અંજામ આપ્યો એ જટીલતા શું હતી. જેથી કિસ્સાની ગંભીરતા આપણે સમજી શકીએ. તેઓ કહે છે, આંખનો પરદો એ આંખનું CPU છે. આંખમાં જે લાઈટ જતી હોય તેને આંખનો પરદો ઈલેક્ટ્રોનમાં પરિવર્તીત કરી મગજ સુધી લઈ જાય છે. એ રીતે જોવામાં આવે તો આંખનો પરદો એ ખૂબ જ અથવા જરૂરી અંગ છે અને ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે તેને બદલી શકાતો નથી. ઘણીવખત અમુક કારણોસર આંખના પરદામાં કાણા પડી જાય છે એ ફાટી જાય છે અને પોતાની જગ્યા પરથી ખસી જાય છે. હવે તેને બદલી તો શકાતો નથી એટલે પરદાને ફરીથી ઓપરેશન કરીને બેસાડવાની જરૂર પડે છે.
હવે આ અત્યંત જટીલ કેસની વાત કરીએ તો, એ સાઉથ આફ્રિકાના એક લેડી ઝુરીનો છે. જેમની એક આંખનો પરદો 10 વર્ષ પૂર્વે ખસી ગયો હતો. તેનું ઓપરેશન તેમણે પોતાના વતન એટલે કે સાઉથ આફ્રિકામાં કરાવ્યું હતું. હવે તેમની બીજી આંખનો પરદો પણ ખસી ગયો અને તેમની હાલત લગભગ દ્રષ્ટિહીન બરાબરની જ થઈ જતાં જીવન દોઝખ લાગવા માંડ્યું હતું. સારવાર કે ઓપરેશનના નામથી તેઓ એટલા ડરી ગયા હતા કે, તેઓ બીજો કોઈ જોખમ લેવા માંગતા જ ન હતા. તેઓ છતાંય ઊંડે ઊંડે ઈચ્છતા હતા કે કોઈ વિશ્વાસપાત્ર કારગત ચિકિત્સા વિશ્વના કોઈ ખૂણે તેમના જીવનને નવી રોશની આપી શકે. તેમની તલાશ અમદાવાદમાં પુરી થતી હોય એવું ઝુરીને લાગ્યું અને તેઓ ભારત આવ્યા. ખ્યાતનામ રેટિના સર્જન અને પરિમલ ગાર્ડન સ્થિત નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈકેર હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડો. પાર્થ રાણાનો તેમણે સંપર્ક કર્યો. દુધના દાઝેલા હોવાથી ઝુરીએ સવાલોની ઝડી વરસાવી, સ્વભાવિક છે કેમકે છેવટે સવાલ જીંદગીનો હતો. ડો. પાર્થે પણ ખુબ ખંતપૂર્વક તેમને સાંભળ્યા અને એટલી જ ધીરજપૂર્વક તમામ સવાલોના તેમને સંતોષ ન થાય ત્યાં સુધી જવાબો આપ્યા. સાઉથ આફ્રિકાના લેડી હવે તેમની સારવાર માટે તૈયાર હતા. તેમનું થ્રીડી સર્જરી મશીનથી વીટ્રેક્ટોમી ઓપરેશન થયું. તેમને આજેય એ વાતનો વિશ્વાસ નથી થતો કે ઓપરેશન બાદ એક જ સપ્તાહમાં તેમણે દ્રષ્ટિ પાછી મેળવી લીધી છે. તેઓના ચહેરા પર એ ખુશી ઝળકી રહી છે.
આ તો વાત છે ભારતીય ચિકિત્સા પદ્ધતિની સફળતાની. ઝુરી અમદાવાદથી દ્રષ્ટિ સાથે કંઈક બીજું પણ મેળવી ગયા હતા. દ્રષ્ટિ સાથે ભારતીય માનવતાવાદી દ્રષ્ટિકોણની સંસ્કૃતિ. એવું નહીં હતું કે તેમણેે ભારતમાં આવીને પૈસા ખર્ચ્યા એક ઓપરેશન કરાવ્યું અને વતન જઈને તેમની ઘરેડમાં ગોઠવાઈ ગયા. ઘટનાના છ મહિના બાદ ડો.પાર્થ રાણાના મોબાઈલ પર એક વીડિયો આવ્યો. સાઉથ આફ્રિકાના નંબર પરથી સેન્ડ થયેલો આ વીડિયો હતો ઝુરીનો અને તમને ખબર છે એમાં જે હતું એ હવે આ સર્જન માટે અદભૂત સંભારણું હતું. તમે માનશો ? ઝુરી એ વીડિયોમાં સાઉથ આફ્રિકાના કાચા માર્ગો પરથી ગુડ્સ કેરિયર લોરી પૂરપાટ ઝડપે દોડાવી રહી હતી. આ વિડીયો થેક્યુ ડોક્ટરના ટેગ સાથે ઝુરીની પુત્રીએ તેમને મોકલ્યો હતો.
ભારત સરકારે મેડિકલ ટુરિઝમ શબ્દ જ્યારે પ્રચલિત કર્યો ત્યારે સૌને એ મહજ વાતો લાગતી હતી પરંતુ આજે સ્થિતિ એ છે કે, તમે અમદાવાદ હોય કે દિલ્હી, મુંબઈ જેવા શહેરોની કોઈપણ પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં જઈને જોઈ શકો છો. ત્યાં તમને ઘણા વિદેશી દર્દીઓ અને તેમના સગાઓ બેઠા જોવા મળશે. આફ્રિકન અને ગલ્ફ દેશોના દર્દીઓની પણ નોંધપાત્ર સંખ્યા છે. સાથે ઓમાન, ઈરાક, માલદીવ, યમન, ઉઝબેકિસ્તાન, સુદાન વગેરેથી પણ દર્દીઓ ભારતમાં આવી રહ્યા છે.
ડો. પાર્થ રાણા કહે છે કે, મોટાભાગના વિદેશી દર્દીઓ આંખ, હૃદયરોગ, ઓર્થોપેડિક્સ, કિડની, લિવર ટ્રાન્સપ્લાન્ટ અને દાઝી જવાની ઇજાઓની સારવાર માટે ભારતમાં આવે છે. દુનિયાભરમાં સ્થાયી થયેલા ભારતીયો પણ અહીં સારવાર માટે આવવા લાગ્યા છે. ભારતમાં ઉચ્ચ લાયકાત ધરાવતા તબીબી વ્યાવસાયિકો અને અત્યાધુનિક સાધનો છે. વધુમાં, ભારત આરોગ્યસંભાળ સેવાઓની ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના યુએસ અને યુકે કરતાં ઓછા ખર્ચાળ સારવાર વિકલ્પો પ્રદાન કરે છે. ભારતમાં સારવારનો ખર્ચ યુ.એસ.ના એક ચતુર્થાંશ જેટલો છે અને સૌથી અગત્યની વાત છે ભારતની મહેમાનગતિની સંસ્કૃતિ જે લોકોને સારવાર પછી પણ અહીથી માટી સાથે જોડીને રાખે છે.