મોંઘવારીના આ યુગમાં બાળકોના ભણતર અને લગ્ન પાછળ ખુબ વધુ ખર્ચ કરવામાં આવે છે. મધ્યમ વર્ગના વાલીઓ આ ખર્ચને લઈને ચિંતિત થતા હોય છે. આવી સ્થિતિમાં સરકારી યોજના ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સુકન્યા સમૃદ્ધિ યોજના છે. આ યોજના માત્ર દીકરીઓ માટે છે. આ યોજનામાં ખાતું ખોલાવીને, તમે તમારી પુત્રીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે નોંધપાત્ર ભંડોળ જમા કરાવી શકો છો. આ એક નાની બચત યોજના છે.
કઈ ઉંમરે ખાતું ખોલાવવું જોઈએ?
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) હેઠળ, માતા-પિતા તેમની પુત્રી 10 વર્ષની ઉંમર પૂર્ણ ન કરે ત્યાં સુધી ખાતું ખોલાવી શકે છે. સુકન્યા સમૃદ્ધિ ખાતું એક પરિવારમાં માત્ર 2 દીકરીઓ માટે જ ખોલી શકાય છે.ખાતું ખોલાવવાની તારીખથી મહત્તમ 15 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ યોજનામાં યોગદાન આપી શકાય છે. જો કોઈ રોકાણકાર તેની પુત્રીના જન્મ પછી તરત જ આ યોજનામાં ખાતું ખોલાવે છે, તો તે 15 વર્ષ સુધી ત પૈસા જમા કરાવી શકે છે. આ પછી 6 વર્ષનો લોક-ઇન પિરિયડ છે. આ સમયગાળા દરમિયાન કોઈ રોકાણ કરવું પડતું નથી, પરંતુ વ્યાજ મળતું રહે છે. આ યોજનામાં, જ્યારે પુત્રી 18 વર્ષની થાય ત્યારે મેચ્યોરિટી રકમના 50 ટકા ઉપાડી શકાય છે. જ્યારે દીકરી 21 વર્ષની થાય ત્યારે બાકીની રકમ ઉપાડી શકાય છે.
શું વ્યાજ મળે છે?
કેન્દ્ર સરકાર દર ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરોની જાહેરાત કરે છે. એટલે કે સુકન્યા સમૃદ્ધિ યોજના માટે દર ત્રણ મહિને વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. નાની બચત યોજનાઓ પર મોટાભાગે ઊંચા વ્યાજ દર રાખવામાં આવે છે. વર્તમાન ત્રિમાસિક ગાળા માટે આ યોજનામાં વ્યાજ દર વાર્ષિક 8.2 ટકા છે. આ વ્યાજ દર વાર્ષિક ચક્રવૃદ્ધિ છે.
70 લાખ રૂપિયા કેવી રીતે મેળવશો
SSY માં તમે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ 250 અને વધુમાં વધુ રૂ 1,50,000 જમા કરાવી શકો છો. તમે આ રોકાણ હપ્તા અથવા એકસાથે કરી શકો છો. ધારો કે તમે વર્ષ 2024માં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવ્યું છે જ્યારે તમારી પુત્રી 1 વર્ષની થશે. જો તમે દર નાણાકીય વર્ષમાં SSY ખાતામાં રૂ. 1,50,000 જમા કરો છો, તો તમને વર્ષ 2045માં પાકતી મુદતના સમયે કુલ રૂ. 69,27,578 મળી શકે છે. આમાં તમારા દ્વારા રોકાણ કરાયેલી રકમ 22,50,000 રૂપિયા હશે અને વ્યાજની આવક 46,77,578 રૂપિયા હશે. આ યોજનામાં એક વર્ષમાં 1.50 લાખ રૂપિયા સુધીના રોકાણ પર પણ આવકવેરા મુક્તિનો લાભ મળે છે. આ સ્કીમ EEE સ્ટેટસ સાથે આવે છે.