સુરત હોય કે રાજકોટ કે પછી અન્ય કોઈપણ શહેરો હવાઈ મુસાફરો સાથે અમાનવીય વર્તન લોકોને કડવા અનુભવ આપી રહ્યું છે. એકતરફ જ્યાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નિર્માણ થવાના દિવસો ગણાઈ રહ્યા છે ત્યાં મુસાફરોને એરલાઈન્સ તરફથી થતાં કડવા અનુભવો સિસ્ટમ સામે પડકાર ઊભો કરી રહ્યા છે. આ વાત છે 10 અને 13 વર્ષના બે વિદ્યાર્થીઓને થયેલા એક વરવા અનુભવની. જેમને નજીવી બાબતને સમજ્યા વગર નિયમોના તાક પર રાખી ફ્લાઈટમાં બેસવા ન દીધા. એરલાઈન્સ તરફથી જે ઉદ્ધત વર્તન થયું એ પણ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ રહ્યું.
ઉનાળું વેકેશન બાદ દહેરાદૂન સ્થિત તુલાસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં રિપોર્ટિંગ માટે પહોંચવા રાજકોટથી સાત વિદ્યાર્થીઓ એકસાથે નીકળ્યા હતા. તેઓએ મુંબઈ થઈને દહેરાદૂન જવાનું હોવાથી વાલીઓએ તેમના માટે રાજકોટ મુંબઈ ફ્લાઈટમાં બૂકીંગ કરાવ્યું હતું. આ વિદ્યાર્થીઓમાં રાજકોટના પ્રતિષ્ઠિત પરિવારોમાંથી આવતા કલ્પ પીપળીયા, હર્ષિલ હિતેશભાઈ લુણાગરીયા, આર્ય પ્રિતેશભાઈ પીપળીયા, દર્શ સાવલીયા, શ્યામ જીતુભાઈ સાવલીયા, રિયા જીતુભાઈ સાવલીયા અને રીચા જીતુભાઈ સાવલિયાનો સમાવેશ થતો હતો.
આ સાતેય વિદ્યાર્થીઓ અને પોતાના વાલી સાથે સવારે સાડા સાતેક વાગ્યાના અરસામાં તો એરપોર્ટ પહોંચી ગયા હતા. ફ્લાઈટનો સમય 9:30 વાગ્યાનો હતો. હવે થયું એવું કે, કલ્પ અને હર્ષિલ પાસે સ્ટુડન્ટ આઈડી ન હતું. માહી તરીકે ઓળખાયેલા ઈન્ડીગો એરલાઈન્સના સ્ટાફ મેમ્બરે બંને વિદ્યાર્થીઓને ગેટ પર જ અટકાવ્યા હતા. વાલીઓને આ બાબતની જાણ થતાં તેઓ ચિંતાતૂર થઈ ત્યાં પહોંચ્યા હતા અને મામલો જાણ્યા બાદ આ માસૂમ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોવાથી સ્ટુડન્ટ આઈડી જેવા નિયમમાં થોડી બાંધછોડ કરવા તેમણે શાંતિપૂર્વક અપીલ કરી હતી. સ્ટાફ જોકે જક્કી વલણ પર આવી ગયો હતો અને કોઈરીતે એકનો બે થવા તૈયાર ન થતાં બન્ને વિદ્યાર્થીઓને ફ્લાઈટમાં ન જ બેસવા દીધા. રિક્વેસ્ટ પર ઉતરેલા વાલીઓ સાથે સવારે તેમનો વાણીવિલાસ પણ ઉદ્ધતાઈભર્યો હતો રીતસર માનવતા નેવે મુકતા વર્તનથી વાલીઓ અને વિદ્યાર્થીઓ ડઘાઈ ગયા હતા.
તમને વધુમાં જણાવી દઈએ કે, સાતેય વિદ્યાર્થીઓએ 13-13 હજાર લેખે આર.વી.ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માધ્યમ થકી ટિકિટ બુક કરાવી હતી. ટ્રાવેલ્સ એજન્સીને ઘટનાની જાણ કરાતાં એજન્સીના જવાબદારોએ ઈન્ડીગો એરલાઈન્સના સેલ્સ હેડને ફોન કર્યો હતો. સેલ્સ હેડે રાજકોટ એરપોર્ટ પર સ્ટાફને સંખ્યાબંધ ઉપરાછાપરી કોલ્સ કર્યા પરંતુ જક્કી વલણે ચડેલા સ્ટાફે તેમનો કોલ એટેન્ડ કરવા સુધ્ધાની તસદી લેવાનું મુનાસિબ ન માન્યું. અંતે એ સમયે વિદ્યાર્થીઓએ પરત ફરવા સિવાય કોઈ છૂટકો ન હતો. બેહદ શરમજનક આ વર્તન અંગે ઈન્ડીગો શું પાંગળો બચાવ કરે છે એ જોવું રહ્યું બસ.