નવી સિવિલ હોસ્પિટલ, મજૂરાગેટ, સુરત ખાતે ડ્રગ ટ્રીટમેન્ટ સેન્ટર ( નશામુક્તિ કેન્દ્ર) દ્વારા આલ્કોહોલિક્સ એનોનિમસ સંસ્થાના સહયોગથી દારૂના વ્યસનને છોડવા માટે જાગૃતતા તથા દારૂના વ્યસનને છોડવા માંગતા લોકો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 16 એપ્રિલ રવિવારે સવારે 9ઃ30થી 12 વાગ્યા સુધી સુશ્રુત હોલ, નવી મેડિકલ કોલેજ, મજૂરાગેટ, સુરત ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં આલ્કોહોલિક્સ એનોનિમસના સભ્ય તેમના અનુભવો કહેશે. નિષ્ણાંતો દારૂના વ્યસન વિશે સલાહ-સૂચનો રજૂ કરશે. આ કાર્યક્રમમાં જે પણ લોકો વ્યસનમાંથી બહાર નીકળવા માંગે છે તેઓ અને તેમના સગાસંબંધીઓને પણ હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, સુરતના ડિપાર્ટમેન્ટ ઓફ સાઇકિઆટ્રીના હેડ અને પ્રોફેસર ડો. ઋતંભરા મહેતા અને વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. કમલેશ દવેએ આ કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં હોસ્પિટલમાં પહોંચતા 50 ટકાથી વધારે દર્દીઓમાં દારૂ એક અગત્યના કારણ તરીકે બહાર આવે છે. અકસ્માત, લીવર કે હ્રદયની બિમારીઓ ઉપરાંત માનસિક બિમારીઓમાં પણ દારૂ જવાબદાર સાબિત થાય છે. દારૂનું વ્યસન એક માનસિક બિમારી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ દ્વારા 31મી માર્ચે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. આ પરિપત્રમાં જણાવ્યા અનુસાર, બિનચેપી રોગોમાં 63 ટકા મૃત્યુદરમાં હ્રદયરોગ 27 ટકા, શ્વસનતંત્રના રોગ 11 ટકા, કેન્સર 9 ટકા, ડાયાબિટીસ 3 ટકા છે. આ બધા રોગોમાં મુખ્ય જોખમી પરિબળ દારૂનું વ્યસન છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2017થી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સંચાલિત નશા મુક્તિ કેન્દ્ર નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે કાર્યરત છે. આ કેન્દ્રમાં રોજના 20થી25 દર્દીઓને નશામુક્તિ માટે સારવાર આપવામાં આવે છે અને જે કેસમાં જરૂર વર્તાય તેમાં તેઓને દાખલ પણ કરવામાં આવે છે.
તા. 16 એપ્રિલે આ વિશેષ આયોજીત કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સત્યમેવ જયતે કાર્યક્રમમાં દારૂની બિમારી વિશે પોતાનો અભિપ્રાય રજૂ કરનાર મુંબઈના મનોચિકિત્સક ડો. આશિષ દેશપાંડે ઉપસ્થિત રહેશે તો મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમર હાજર રહેવાના છે.