નર્મદા ડેમાંથી છોડવામાં 19 લાખ ક્યુસેક પાણીએ ભરૂચ અને નર્મદા જિલ્લામાં તારાજી સર્જી છે. ભારે વરસાદના પગલે હાલાત એ સર્જાયા છે કે, દાહોદ, પંચમહાલ, મહીસાગર, નર્મદા, અરવલ્લી વડોદરા જિલ્લા અને ભરૂચની શાળાઓમાં રજા જાહેર કરવી પડી. નર્મદા નદી હાલ તેની ઐતિહાસિક સપાટી 41 ફૂટે વહી રહી હોવાની વિગતો સાંપડી રહી છે. નર્મદા કિનારે આવેલા ગામોમાં આ સંજોગોથી પાણી ભરાયા છે. ટ્રેન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. રાજ્યમાં સર્વત્ર શુક્રવારથી શરૂ થયેલી મેઘમહેર આ સપ્તાહની શરૂઆતમાં પણ યથાવત્ છે અને આગામી દિવસોમાં હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાત ભરુચ જિલ્લાની તારાજીની કરીએ તો, સવાલ એ છે કે ખરેખર કુદરતે ઉપરવાસમાં કહેર વર્તાવ્યો છે કે આ આફત માનવસર્જિત છે. ભરુચ જિલ્લાના ગુજરાત બ્રેકિંગ પ્રતિનિધિ દ્વારા આ બાબતની તપાસ કરતાં જે સંભવતઃ કારણો જાણવા મળી રહ્યા છે એ કમનસીબ છે. ખરેખર ભરુચ જિલ્લાના લોકોના જીવ રાતોરાત તાળવે બાંધવામાં મોટી ચૂક ક્યાંક કામ કરી ગઈ હોવાની એક્સક્લૂઝિવ વિગતો સાંપડી છે.
ભરુચની પ્રજાને આ રીતે તકલીફમાં અચાનક મુકવાના કારણો વિશે તમને જણાવીએ એ પૂર્વે થોડી ત્યાંની સ્થિતિ વિશે માહિતી આપીએ તો, રેલવે અધિકારીઓના કહેવા મુજબ, ભારે વરસાદને પગલે 12962 ઈન્દોર મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, 12961 મુંબઈ સેન્ટ્રલ ઈન્દોર એક્સપ્રેસ, 12995 બાંદ્રા ટર્મિનસ અજમેર એક્સપ્રેસ, 09382 રતલામ દાહોદ સ્પેશિયલ, 09350 દાહોદ આણંદ, 09358 રતલામ દાહોદ સ્પેશિયલ, દાહોદ 138 સ્પેશિયલ સહિત સંખ્યાબંધ ટ્રેનો રદ કરવામાં આવી છે.
ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને કારણે ભરૂચ જિલ્લામાં હજારો પરિવારોના જનજીવન પર ખુબ માઠી અસર પહોંચી છે. નર્મદા નદી બે કાંઠે છલકાતા સ્થિતિ ભારે કફોડી બની છે. સમગ્ર ભરૂચમાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર 41.60 ફુટ પર પહોંચ્યું છે. આ સંજોગોમાં અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે. લોકો તેમના મકાનોમાં ફસાઈ રહેવા મજબૂર બન્યા છે. અને એ પરિવારોમાં ભયનો માહોલ છે. અંકલેશ્વરના છાપરા, બોરભાઠા બેટ, કાશીયા, સરફૂદીન, ખાલપીયા સહિતના ગામોમાં પાણી ફરી વળ્યાં છે. અંકલેશ્વર-હાંસોટ માર્ગ પર આવેલી અનેક સોસાયટીમાં તો હાલત એ છે કે, ઘરના પહેલા માળ સુધી નર્મદા નદીના પાણી પહોંચી ગયા છે. રાજ્ય સરકારે ભરૂચમાં NDRFની ત્રણ ટીમ મુકવામાં આવી છે. નર્મદામાં NDRFની બે ટીમ તૈનાત કરાઈ છે જેણે રાહત અને બચાવની કામગીરી સંભાળી લીધી છે.
નર્મદામાં આવેલા ઉછાળા અને પૂરના કારણે સંખ્યાબંધ રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને મોટું નુકસાન થયું છે. ઉઘડતાં સપ્તાહે જ આજીવિકા અને રોજગારી ઠપ્પ થઈ ગઈ છે. ડેમમાંથી અચાનક આટલું પાણી છોડવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનો અસરગ્રસ્ત લોકોએ આક્ષેપ કર્યો છે. હૈયાવરાળ ઠાલવતાં ગુજરાત બ્રેકિંગ સમક્ષ લોકોનું કહેવું હતું કે, આટલું સામટું પાણી છોડવાનું હતું એવી તંત્રએ કોઈ તાકિદ કરી નહીં અને એ બેદરકારીનો ભોગ અમે લાચાર બનીને ભોગવી રહ્યા છીએ. વાતમાં દમ છે, એકસામટું અચાનક નર્મદા ડેમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડવું પડે એવા સંજોગો કેવી રીતે રાતોરાત નિર્માણ થયા. શું તંત્ર આ સ્થિતિથી છેલ્લી ઘડી સુધી બેખબર હતું. આ બાબતે તપાસ કરતાં જે ચોંકાવનારી વાતો જાણકાર અધિકારી સુત્રો તરફથી મળી એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ લાગી.
કોઈપણ સુચના ન હોવા છતાંય મધ્યપ્રદેશ ખાતે અધિકારીઓની દાંડાઈથી હજ્જારો પરિવારો આજે આ હાલતમાં મુકાયા છે. અધિકારી સુત્રોનું માનવામાં આવે તો, મધ્ય પ્રદેશના ઓમકાર પર્વત પર એકાત્મધામ ખાતે આદિ શંકરાચાર્યની પ્રતિમાનો ઉદ્ઘાટન સમારોહ હતો. આ સમારોહ દરમિયાન એવી કોઈ સ્થિતિ ન હતી જ્યારે પાણી છોડવાને કારણે કોઈ તકલીફ સર્જાય પરંતુ અધિકારીઓએ વાત અંધારામાં રાખી અને એ સમયે પાણી છોડવામાં આવ્યું ન હતું. પાણી ન છોડવાના મનસ્વી નિર્ણય બાદ કુદરતે હવે જ્યારે તેનું જોર બતાવ્યું તો સંજોગો એ સર્જાયા કે. છેલ્લી ઘડીએ વરસાદે પાણી છોડવીની નોબત અને અને તેના સ્થિતિ વણસતાં આજે મધ્યપ્રદેશ અને ગુજરાતના હજ્જારો પરિવારોના જીવ પડીકે બંધાયા છે.
હવે હવામાન ખાતાની આગાહી છે કે, હવામાન ખાતાની પાંચ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે ત્યારે નર્મદા, ભરૂચની સ્થિતિ પર રાજ્ય સરકારે વિશેષ ધ્યાન આપતાં જરૂરી તમામ સહાયતા અને સાધન-સરંજામથી લોકોની વધુ આફત ન પડે એ માટે તૈયારીઓ આરંભી છે. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે પાણી ભરાવાને લીધે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે વાહન વ્યવહાર બંધ થયો છે. બ્રિજ બંધ થતા જ નેશનલ હાઈવે નં.૪૮ પર વાહનોની લાંબી લાઈનો લાગી છે. એસટી સુત્રોએ જણાવ્યા મુજબ સમગ્ર માર્ગ પર વાહનોની લગભગ 7 કિલોમીટર જેવો ટ્રાફિકજામ સર્જાયો છે. સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં રાજ્યના 180 રોડ બંધ છે. 2 નેશનલ તેમજ 15 સ્ટેટ હાઈવે બંધ થયા છે. એ ઉપરાંત પણ અનેક અંતરિયાળ માર્ગો બંધ થતાં મધ્ય ગુજરાતનું જનજીવન અસરગ્રસ્ત થયું છે.