ગુજરાતમાં ભાગ્યે જ કોઈ વિસ્તાર હશે જ્યાં દારૂબંધી હોવા છતા પણ દારૂ વેચાતો ન હોય. પીવાની ટેવ ધરાવતાં લોકો લોકડાઉન જેવા કપરાં કાળમાં પણ જો પોતાની વ્યવસ્થા કરી લેતાં હોય ત્યારે પોલીસની હપ્તાગીરી સિવાય આ કાયદો એક ફારસરૂપ છે તેવી માન્યતા સાથે દારૂબંધીના કાયદાને પડકારતા કેસમાં હાઈકોર્ટમાં પેન્ડિંગ અરજીની સુનાવણી નક્કી કરવાની માગ સાથે અરજદારોએ રજૂઆત કરી હતી. ઘરે બેસીને દારૂ પીવાની છૂટ માગતી રિટ પર ઓગસ્ટમાં સુનાવણી હાથ ધરાશે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં દારૂબંધીના કાયદાને પડકારતી વિવિધ પાંચ અરજી હાઈકોર્ટમાં સુનવણીની રાહ જોઈ રહી છે.
અરજદારોની દલીલ છે કે, દારૂબંધીના કાયદાને પડકારતી અરજીઓ ટકી શકે તેમ અગાઉ હાઈકોર્ટે ઠેરવ્યું હતું. ત્યારે આ કેસોની સુનાવણી કરી તેનું નિરાકરણ લાવવું જોઈએ. જોકે, સામા પક્ષે રાજય સરકારના એડવોકેટ જનરલે આવા પ્રકારના કેસોમાં કોઈ ઉતાવળ ન હોવાથી તેમાં તાકીદની સુનાવણીની કોઈ જરૂર નથી એવી દલીલ કરી હતી. હવે એક્ટિંગ ચીફ જસ્ટીસ એ.જે. દેસાઈ અને જસ્ટીસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે 7મી ઓગસ્ટે આ કેસની સુનાવણી મુકર્રર કરી છે. ઘરની ચાર દીવાલમાં બેસીને દારૂ પીવાની છૂટ મળી શકે કે નહીં, નશાબંધીના કાયદાની જોગવાઈઓ રદ્દ થઈ શકે નહીં તે અંગે હાઈકોર્ટ નિર્ણય કરશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધીના કાયદાને નાબૂદ કરવાની દાદ માગતી પાંચ અરજીઓ હાઈકોર્ટ સમક્ષ થઈ છે. આ અરજીઓની સુનાવણી સાથે જ નક્કી કરવા ત્યારબાદ વધુ એક અરજી કરવામાં આવી. અરજદારના સિનિયર એડવોકેટ સૌરભ સોપારકરની દલીલ હતી કે, રાજય સરકારની નશાબંધીના કાયદાને પડકારતી આ અત્યંત રસપ્રદ અને મહત્વની બાબત છે. લાંબા સમયથી આ પેન્ડિંગ હોવાથી તેની સુનવણી માટે સમય નક્કી થવો જોઈએ. અમે રાજય સરકારના નશાબંધીના કાયદાને પડકાર્યો છે.
સરકારની દલીલ હતી કે, હાઈકોર્ટે 6 જુલાઈ, 2022માં આ કેસ અંગે તાકીદની સુનાવણીની જરૂર ન હોવાનું ઠરાવ્યું હતું. સરકાર શા માટે સુનાવણી ન થાય એવું ઈચ્છે છે તો સરકારનો પ્રશ્ન હતો કે અરજી ટકી શકે એમ નથી. બીજી તરફ, વિસ્તૃત દલીલો બાદ હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે, આ અરજી ટકી શકે એમ છે અને સુનાવણી થવી જોઈએ. અરજદારનું કહેવું આ બાબતે એવું હતું કે, અમે એવું નથી કહેતા કે તાકીદે સુનાવણી થાય. પરંતુ નામદાર કોર્ટને યોગ્ય લાગે ત્યારે સુનાવણી ફિક્સ કરવામાં આવે. કારણ કે આ એક અગત્યનો મુદ્દો છે.
કેસ અંગે અરજદારે ત્યાં સુધી કહ્યું હતું કે, આ કેસની સુનાવણીમાં રાજય સરકારને શું વાંધો છે. ત્યારે એડવોકેટ જનરલે કહ્યું કે, હાઈકોર્ટ સમક્ષ અનેક વધુ અગત્યના કેસો પેન્ડિંગ છે. જેની તાત્કાલિક સુનવણી થયા એ જરૂરી છે. સરકારે એવી પણ દલીલ કરી હતી કે, આ કેસમાં તાકીદની સુનાવણીની જરૂર નથી, દિવાળી પછી સુનાવણી કરવામાં આવે. ત્યારે અરજદારે એવી ટકોર કરી હતી કે, સરકાર તો વર્ષ 2033માં સુનાવણી ઈચ્છી શકે છે, એ કેવી રીતે ચલાવી શકાય.