એકતરફ ડાયમંડ બૂર્સની મોટીમોટી વાતો થઈ રહી છે તો બીજીતરફ મંદીના ડાકલાં હીરા ઉદ્યોગને ડરાવી રહ્યા છે. આ ડરની પરવાહ મોટા કારખાનેદારોને નથી એટલે રૂપકડી ભ્રામક વાતોમાં એ રચ્યા-પચ્યા છે પરંતુ વાસ્તવિક્તા એ છે કે મહિધરપુરા કે વરાછા મિનીબજારમાં પડીકાં લઈને આખો દિવસ ઉનાળો હોય કે ચોમાસું અથવા અન્ય કોઈપણ વિસમ સંજોગો ત્યાં બે પૈસા રળવાની આશા રાખતાં દલાલોની હોય કે પછી રત્નકલાકારનું ટેગ માથા પર લઈને તનતોડ મહેનત કરતાં કામદારોનું નસીબ પલટાય એવા કોઈ એંધાણ વર્તાઈ નથી રહ્યા કેમકે તેમની કોઈને પડી જ ન હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. લેબર વિભાગમાં હીરા ઉદ્યોગની પોલ ઉઘાડી પડી રહી છે પરંતુ એ વિભાગ પણ ક્યાંક ઊણો ઉતરીને રત્નકલાકારોના નસીબ પર સરણ મુકીને ઊંઘી રહ્યું હોવાનો બળાપો રત્નકલાકારો ઠાલવી રહ્યા છે. સેંકડો કેસોમાં હજ્જારો કારીગરો મંદીના નામે ઘરભેગા થઈ રહ્યા બાદ ગ્રેજ્યુઈટી જેવા મળવાપાત્ર હકથી વંચિત રહીને લડી રહ્યા છે. તંત્ર આ રત્નકલાકારો સામે નહીં ધ્યાન આપે તો આગામી દિવસો નવી આફત લઈને ન આવે તો જ નવાઈ રહેશે.
મંદીના નામે જે ખેલ ચાલી રહ્યા છે એ સમજવા આપણે સેંકડો પૈકી એક જ ઉદાહરણ તરફ કરીએ તો, હાલ લાલ દરવાજા સ્થિત નટરાજ સિનેમાની પાછળ આવેલી જેબી ડાયમંડના કર્મચારીઓની લડત સમગ્ર ડાયમંડ લોબીમાં ભારે ચર્ચાનો વિષય છે. સુરતની જૂની અને એકસમયની પ્રતિષ્ઠિત માનવામાં આવતી સંસ્થા એટલે જે બી એન્ડ બ્રધર્સ પ્રા.લી. કર્મચારીઓ હાલ આ કંપની સામે પોતાના સામાન્ય હક માટે ઝઝૂમી રહ્યા છે. તેઓનો આક્ષેપ છે કે, સંસ્થા 2019થી મંદીના નામ પર સતત પગાર વધારવાને બદલે ઘટાડો કરતી આવી છે. કાયદાનુસાર તો કર્મચારીનો પગાર ઘટાડો કરતાં પૂર્વે શ્રમ આયુક્તની મંજૂરી મેળવવાની હોય છે પરંતુ અહીં કોઈ પૂર્વ મંજૂરી વગર મનસ્વીપણે પગાર ઘટાડો ઝીંકાયે રાખતાં કર્મચારીઓએ ઘરની વાત ઘરમાં રહે એ સિદ્ધાંતને અનુસરી પ્રથમ રજૂઆત અને ત્યારબાદ વિરોધ વ્યક્ત કરી જોયો હતો, પરંતુ આ ડાયમંડ કંપની જાણે પહેલેથી જ કર્મચારીઓનું ભાવિ અધ્ધર કરવાનું વિચારીને બેઠી હોય એ રીતે ન તો યુનિટ મેનેજરોએ તેમની વાત ગંભીરતાથી કાને ધરી ન તો સંસ્થાના ડિરેક્ટર્સ તરફથી ધ્યાને લેવામાં આવી.
જ્યારે કર્મચારીઓનો તેમના મળવાપાત્ર હક પરત્વે અવાજ સ્વભાવિક મક્કમ થવા લાગ્યો તો, સંસ્થાના યુનિટ મેનેજરોએ એવું પરખાવી દીધું હતું કે, હીરા ઉદ્યોગમાં હાલ મંદી હોવાના કારણે અમે આ સંસ્થા બંધ કરી રહ્યા છીએ. એ સંજોગોમાં અને સ્વૈચ્છાએ બે પગાર તથા નીકળતો એક પગાર ચૂકવવા તૈયાર છીએ. કર્મચારીઓના કહેવા પ્રમાણે આ વાત મુકવા સાથે તેમણે કર્મચારીઓને ચેક સાથે કાગળ પર સહી પણ કરાવી લેવામાં આવી હતી. કર્મચારીઓના હીતમાં આ લડત ચલાવતાં ભવિષ્ય મજદુર સંઘના મંત્રી સોમાભાઈ રાવલ પાસે જ્યારે આ કેસની હકીકત સમજવાની કોશિષ કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે, સંસ્થાના હર્તા-કર્તાઓ અને સંચાલકોએ કર્મચારીઓ પાસે ફટાફટ સહી કરાવી અને ચેક આપી તેઓને છૂટા કરી દેવાયા હતા. કર્મચારીઓને કોઈપણ જાતના કાગળો પણ વાંચવા દીધા નથી અને ઝેરોક્ષ પણ આપી નહીં.
તેમણે વધુમાં જણાવ્યા અનુસાર, તેમની નોકરી દરમિયાનની ગ્રેજ્યુઈટી મેળવવા ફોર્મ-આઈ દ્વારા વિનંતી કરવા છતાંય તેની ધરાર અવગણના થતાં ફોર્મ-એન થકી કન્ટ્રોલ ઓથોરિટી સમક્ષ ગ્રેજ્યુઈટી મેળવવા અરજી દાખલ કરવામાં આવી છે. સંસ્થા હજીપણ એવો જવાબ આપી રહી છે કે, કર્મચારીઓ ગ્રેજ્યુઈટી મેળવવા હકદાર નથી. કારીગરો તંત્ર પાસે ન્યાય માંગી રહ્યા છે કે, તેઓએ નોકરીમાં જોડાયા તારીખ અને છૂટા કર્યા તારીખ તેમજ બેઝિક તમામ બાબતો તંત્ર સમક્ષ મુકી ચૂક્યા છે હવે ગ્રેજ્યુઈટીનો હક આપી તેમનું આર્થિક ભારણ હળવું કરવામાં આવે.
શ્રમ વિભાગના આધારભૂત સુત્રોનું માનીએ તો, ડાયમંડ ઓફિસોમાં આ પ્રકારના સેંકડો કેસોમાં હજારો કર્મચારીઓ ન્યાયની આશાએ બહુમાળી ભવનોના પગથીયાં ઘસી રહ્યા છે. આ મજબૂર કામદારો તેમની ધીરજ ગુમાવી બેસે એ પહેલા તેમના મધ્યમવર્ગીય પરિવારો માટે માનવીય અભિગમ દાખવીને પણ સરળ રસ્તો તેમના હીતમાં નીકળે એ તંત્ર તરફની અપેક્ષાઓ છે.