વાવાઝોડા બિપોરજોયનો તરખાટ ગત મધરાતથી સૌરાષ્ટ્ર અને કચ્છને ડરાવી રહ્યો છે. જખૌથી માત્ર 180 કિમી દૂર, દરિયો જે રોદ્રરૂપ ધારણ કરીને તોફાને ચઢી ચૂક્યો છે એ કાંઠે તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. આજે મોડી સાંજે વાવાઝોડું બિપોરજોય જ્યાં ત્રાટકવાનું છે એ જખૌ પર સમગ્ર વિશ્વની નજર મંડરાયેલી છે. આજની સાંજ ભારે કેટલી ભારે રહેશે એ કુદરત જ જાણે પરંતુ માનવોએ જે પોતાની શક્તિથી કયાસ લગાવ્યો છે એ પણ અતિ ડરામણો છે. લેન્ડફોલના કલાકો પૂર્વે જે રીતે ગુરુવારની સવારથી દરિયાકાંઠે તોફાની પવનો ફૂંકાતા સૌરાષ્ટ્ર-કચ્છના લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. કંટ્રોલ રૂમમાંથી તંત્ર દ્વારા 24 કલાક સ્થિતિ પર નજર રખાઇ રહી છે. ખતરાને પહોંચી વળવા અને જાનમાલનું નુકશાન શક્ય એટલું ઓછું થાય એ માટે રાજ્ય સરકાર તરફથી ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે.
બિપોરજોય વાવાઝોડુ મોડી સાંજે 7 વાગ્યા બાદ જખૌમાં પોતાની પુરી તાકાત સાથે ટકરાઇ શકે છે. વાવાઝોડાની અસર કચ્છમાં દેખાવાની શરુ થઇ ગઇ છે, કચ્છમાં જુદા જુદા વિસ્તારોમાં અતિ તેજ ગતિથી વિનાશ વેરતો પવન ફુંકાઇ રહ્યો છે. અરબી સમુદ્રમાં ચક્રવાત બિપરજોય આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે તેને ધ્યાનમાં રાખીને ગુજરાતના 500થી વધુ ગામોને અગાઉથી જ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે.
નીચાણવાળા વિસ્તારોમાં અતિભારે વરસાદ અને તોફાની પવનો તબાહી મચાવે એવી સંભાવના છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે બિપરજોય ચક્રવાત કચ્છ જિલ્લાના જખૌ બંદર પર લેન્ડફોલ કરશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે વાવાઝોડું ગુરુવારે મોડી સાંજે દરિયાકાંઠે ટકરાશે અને તે સમયે તેની ઝડપ 125 થી 150 કિમીની હશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જ્યારે ચક્રવાત કરાચી અને માંડવી વચ્ચેના દરિયાકાંઠાને પાર કરે છે ત્યારે પવનની ઝડપ 115-125 કિમી પ્રતિ કલાકથી વધારેની હોઈ શકે છે. આ ગતિ વીએસસીએસ (વેરી સીવિયર સાયક્લોનિક સ્ટોર્મ)ની છે. તેની અસરથી ખાસ્સું નુકસાન થઈ શકે છે. આજે દિવસભર દરિયો ગાંડોતૂર બનીને ઉંચા મોજાથી તોફાન મચાવે તેવી વકી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 જૂને સવારથી અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વમાં બિપરજોય ચક્રવાતના કારણે દરિયામાં 9 થી 20 ફૂટના તોફાની મોજા ઉછળ્યા હતા. આ દરમિયાન કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રોજકોટ, જૂનાગઢ અને મોરબીમાં રેકોર્ડ બ્રેક વરસાદ થવાની સંભાવના છે. આ સાથે વાદળ ફાટવાની ઘટના પણ બની શકે છે.
દેશભરમાંથી સુરક્ષા જવાનો સાથે રાજ્યના વિવિધ ટેકનીકલ સ્ટાફ કચ્છ-સૌરાષ્ટ્રમાં રાહત બચાવની કામગીરી માટે પહોંચી ચૂક્યો છે. સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ અને સંગઠનો પણ તેમની રીતે વાવાઝોડા બાદ અસરગ્રસ્તોને શક્ય એ તમામ સહાય આપવા તૈયાર છે. તા.14મીની રાત્રે રાત્રે ‘બિપોરજોય’ વાવાઝોડાંને સંભવિત અસરોને પહોંચી વળવા સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની એક ટીમ રવાના થઈ છે. આ ટીમમાં 1 અધિકારી, 2 ડ્રાઇવર તથા 5 ફાયરમેન મળી કુલ 8 જવાનો રેસ્ક્યુ સાધન સામગ્રી સહિત, ઇમરજન્સી રેસ્ક્યુ વેહિકલ સાથે “ઓખા” ખાતે બચાવ કામગીરીમાં જોડાવા રવાના થયા છે.