ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા ચક્રવાત બિપરજોયે ધારણા કરતાં ખૂબ જ વધારે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. આજે 9 વાગ્યા દરમિયાન એ કચ્છના જખૌમાં ટકરાય તેવી અંતિમ ધારણા છે. હવામાન વિભાગે તેના કારણે ભારે વિનાશ વેરાઈ શકે છે તેની ચેતવણી આપી છે.
અરબી સમુદ્રમાં ચક્રવાત બિપરજોય હવે રાત્રે 9 વાગ્યા બાદ ગુજરાતના જખૌ બંદર પર ટકરાઈ શકે છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે તે સાંજે 4 થી 8 વાગ્યા સુધી દરિયાકાંઠે અથડાશે. હકીકતમાં ગત મોડી સાંજથી વાવાઝોડાની ગતિ ધીમી પડી છે જોકે તીવ્રતામાં કમનસીબે કોઈ ઘટાડો હજીસુધી નથી દેખાયો. તેના માર્ગમાં પણ નજીવો ફેરફાર થયો છે. તેનો રૂટ સહેજ કરાચી તરફ વળે તેવી વક્રી છે.
ચક્રવાત કરાંચી અને માંડવી વચ્ચે દરિયાકાંઠા પર ત્રાટકશે ત્યારે પવનની સ્પીડ લગભગ 125 કિમી પ્રતિ કલાકની રહે તેવી ધારણા છે. આ ગતિ એ વેરી સીવિયર સાયક્લોનિક સ્ટોર્મની છે. તેની અસરથી અણધાર્યું નુકસાન પહોંચી શકે છે. જે ખૂબ જ ખતરનાક છે.
હવે વાત કરીએ બિપોરજોય ત્રાટક્યા બાદ શું થશે એ બાબતે તો જાણકારોનું કહેવું છે કે, બિપોરજોય લેન્ડફોલ થયા પછી 500 કિ.મી. વિસ્તારમાં તેની ભારે અસર રહેશે. આ અસરને પગલે 17મી જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે. હાલ દર કલાકે કચ્છની 6 કિ.મી. નજીક આવી રહ્યુ છે.
બિપોરજોય વાવાઝોડુ જે સમયે ત્રાટકશે ત્યારપછીના લગભગ ત્રણેક કલાક સુધી મહત્તમ 125ની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે. ત્યારબાદ 17મી જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદ ઉપરાંત 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન ખાતાના કહેવા મુજબ વાવાઝો઼ડા બાદ તેની સૌથી વધારે અસર બનાસકાંઠા અને સાબરકાંઠામાં વર્તાશે અને એ વિસ્તારોમાં અતિભારે વરસાદ પૂર જેવી સ્થિતિ પણ નોતરી શકે તેવી રહેશે.
હાલ તો, બિપરજોય વાવાઝોડા હાલ ગુજરાતમાં ત્રાટકે તે પહેલા જ સ્થિતિ વણસી ગઈ છે. ભારે વરસાદને પગલે પૂરનું જોખમ વધી ગયું છે. જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગ સતત વાવાઝોડાની ચેતવણી આપી રહ્યું છે. મોડી સાંજે બિપરજોય વાવાઝોડાને શરૂ થતા 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
ચિંતાનો વિષય એ છે કે, જો પવનની ગતિ 90 કિમીની હોય તો વૃક્ષો, થાંભલા અને કાચા મકાનો પણ ધરાશાયી થઈ જાય છે, ત્યારે 125ની ઝડપે પવન ફૂંકાશે તો ભારે તબાહી વેરાઈ શકે છે. આ સંજોગોમાં આટલી ઝડપે પવન ફૂંકાશે ત્યારે સ્થાનિક લોકો અને બચાવકર્તાઓનું શું થશે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસથી ફૂંકાવાના કારણે પણ ખાસ્સુ એવું નુકશાન તંત્ર અને લોકો વેઠી જ ચૂક્યા છે. સરકારી આંકડાઓ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં 2445 વીજપોલ હવાની તેજ ગતિને કારણે નુકશાન પામ્યા છે. જેના લીધે વાવાઝોડું ત્રાટકે એ પૂર્વે તેની અસરથી જ 179 ગામોમાં અંધારપટ છવાયેલો છે. 1487 ફીડરો બંધ હાલ પણ બંધ છે. તંત્રના દાવાને માની લઈએ તો. તોફાની પવન સાથેના ભારે વરસાદને કારણે વીજતંત્રને 3 જ દિવસમાં 7 કરોડથી વધુનું નુકશાન પહોંચ્યું છે.
બિપોરજોય વાવાઝોડાનો ઉદય 6ઠ્ઠી જુને કેરળ અને કર્ણાટકની પૂર્વ દિશામાં થયો હતો. ત્યારથી આજે 15 જુન સુધી વાવાઝોડાએ 1300 કિમીની મજલ કાપી છે. આટલી વિશાળ મજલ કાપીને આજે વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાનું છે. બીજી એક જાણકારી પણ અહીં નોંધવી જરૂરી છે કે, જોઈન્ટ ટાયફૂન વોર્નિંગ સેન્ટરની વિગતો મુજબ, જૂન 1998ના મહાચક્રવાતનો રેકોર્ડ તોડી બિપોરજોય એ અરબી સમુદ્રના ઈતિહાસમાં સૌથી લાંબો સમય ધરાવતું ચક્રવાત બન્યું છે. આ ચક્રવાત લગભગ 190 કલાકથી અરબ મહાસાગરમાં સક્રિય છે.